અમદાવાદ :એક તરફ આમ આદમી પાર્ટીના મુખિયા અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે, અને બીજી તરફ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં આંતરિક ડખો શરૂ થયો. અમદાવાદ શહેર ઉપપ્રમુખે ખુલ્લેઆમ પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવાર સામે વિરોધ નોંધાવ્યો છે. વેજલપુર બેઠકના ઉમેદવાર કલ્પેશ ઉર્ફે ભોળાભાઈ પટેલના નામની જાહેરાતને લઈને શાકિર શેખે વિરોધ દર્શાવ્યો. સાથે જ તેમણે રાજીનામુ આપવાની પણ ચીમકી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી 29 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં વેજલપુર બેઠકના ઉમેદવાર કલ્પેશ ઉર્ફે ભોળાભાઈ પટેલને ટિકિટ આપી છે. ત્યારે કલ્પેશ પટેલની ટિકિટને લઈને અમદાવાદ શહેર ઉપપ્રમુખ શાકિર શેખે વિરોધ દર્શાવ્યો છે. તેમણે કલ્પેશ પટેલને આયાતી ઉમેદવાર ગણાવ્યું. તેમણે કહ્યું કે, સ્થાનિક લોકોને ટીકીટ આપવાની વાત કરતી પાર્ટીએ આયાતી ઉમેદવારને ટિકિટ આપી છે. હું વર્ષ 2015 થી આપ માટે અહીંયા કામ કરી રહ્યો છું, જ્યારે કલ્પેશ પટેલ તો આ બેઠકના રહેવાસી પણ નથી. તેઓ પૈસાદાર છે એટલે તેઓને ટીકીટ આપવામાં આવી છે. રૂપિયાના જોરે તેઓએ ટીકીટ મેળવી છે. મેં મારી રજૂઆત પાર્ટીમાં કરી છે, પણ કોઈએ વાત સાંભળી નથી. અરવિંદ કેજરીવાલ આમાં હસ્તક્ષેપ કરે, અન્યથા હું મારા સેંકડો સમર્થકો સાથે આપમાંથી રાજીનામું આપીશ.


આ પણ વાંચો : ગુજરાતના દરિયાથી પકડાયું 200 કરોડનું ડ્રગ્સ, પંજાબની જેલમાં બંધ આરોપીએ મંગાવ્યું હતું  


તો બીજી તરફ, અમરેલી બગસરા તાલુકા પંચાયતના 2 સદસ્ય તેમજ 1 કોંગ્રેસ આગેવાનો ભાજપમાં જોડાયા છે. જિલ્લા પ્રમુખ કૌશિક વેકરીયા દ્વારા ત્રણ સભ્યોને ખેસ પહેરાવીને ત્રણેયને આવકાર્યા હતા. ત્રણ સદસ્યો કોંગ્રેસ છોડી વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. 


કોણ કોણ ભાજપમાં જોડાયું


  • બાબુભાઈ શામજીભાઈ બકરાણી, ગ્રામ પંચાયત સદસ્ય (હડાળા)

  • નાગજીભાઈ છગનભાઈ સિદ્ધપુરા - ગ્રામ પંચાયત સદસ્ય - નવી હળીયાદ

  • ગોપાલભાઈ બકરાણી - કોંગ્રેસ આગેવાન