સમીર બલોચ/અરવલ્લી : શામળાજી પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. જેમાં અમદાવાદથી વૈષ્ણવ સમાજનાં 140 લોકો ચાર લકઝરી બસમાં નાથદ્વારા શ્રીનાથજી ભગવાનનાં દર્શનાર્થે જતા હતા. ત્યારે લકઝરી બસ પૈકી ત્રીજા નંબરની બસનો શામળાજી પાસે અકસ્માત થતાં 35થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાં હતા. તો બીજી બાજુ 35 પૈકી 10થી વધુ લોકોની હાલત ગંભીર હોવાની વાત સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદથી વૈષ્ણવ સમાજના 140 લોકો ચાર લક્ઝરી બસ લઇ નાથદ્વારા એન્યુઅલ કાર્યક્રમ તેમજ દર્શન કરવા જઈ રહ્યા હતા. દરમિયાનમાં શામળાજી પાસે નેશનલ હાઈવે રોડમાં આ ચાર લક્ઝરી બસો પૈકી ત્રીજા નંબરની બસનો ચાલક અવાર નવાર ચાલુ બસે મોબાઈલનો ઉપયોગ કરતો હતો. જેથી બેથી ત્રણ વાર બસમાં બેઠેલા મુસાફરોએ ટકોર કરી હતી. તેમ છતાં બેફિકરાઈથી ગાડી ચલાવતા તેણે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ રોડ સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. 


ગત મધરાતે અંદાજે ત્રણ વાગ્યાનાં સુમારે આ ઘટના ત્યારે બની હતી. આ સમયે તમામ મુસાફરો બસમાં ઉંઘી રહ્યા હતા. આ અકસ્માતમાં બસમાં સવાર મુસાફરો પૈકી 35 મુસાફરોને ઈજાઓ થઇ હતી. જેઓને 108 મારફતે પ્રાથમિક સારવાર માટે શામળાજી રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. ત્યાર બાદ ગંભીર રીતે ઘાયલ 10 મુસાફરોને અમદાવાદની એચસીજી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. બાકીના ઈજાગ્રસ્તોને હિમતનગર અને મોડાસા ખાતેની એઇમ્સ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ઇજાગ્રસ્તોને માથાના ભાગે છાતીના ભાગે અને પગના ભાગે સૌથી વધુ ઈજાઓ થઇ હતી. જોકે આ અકસ્માતમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા પરિમલ શાહનાં સબંધીઓને પણ ઈજાઓ થઇ હતી. ત્યારે લક્ઝરી બસના ચાલકે ચાલુ બસે મોબાઈલનો ઉપયોગ કરતા બસ પલટી ખાઈ ગઈ હોવાનું મુસાફરો દ્વારા જણાવાયું હતું. બસમાં સવાર ૩૫ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સદનસીબે મુસાફરોને ઈજાઓ થઇ હતી, પણ જાનહાનિ ટળી હતી.