અજય શીલુ/પોરબંદર :ચોમાસામાં હાઈવે પર ગાડી સ્લીપ થઈ જવાના અનેક બનાવો બનતા રહે છે. રોડ પર પાણી હોવાથી અકસ્માતો (Accident) નું પ્રમાણ વધી જાય છે. ત્યારે પોરબદર સોમનાથ હાઇવે (porbandar somnath highway) પર આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ચિકસા ગામ નજીક કાર ડિવાઈડર સાથે એવી અથડાઈ કે તેમાં ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદર સોમનાથ હાઈવે પર શુક્રવારે સવારે આ ઘટના બની હતી. ખંભાળિયાના ખજૂરિયા ગામે રહેતો મયુર ચંદ્રાવાડિયા લોએજ ગામની કોલેજમાં અભ્યાસ કરતો હતો. તેનુ સર્ટિફિકેટ લેવા માટે તેના મિત્રો સાથે કારમાં સવાર થઈને નીકળ્યો હતો. કારમાં તેની સાથે કિશન ચંદ્રાવાડિયા, ઘેલુભાઇ ચંદ્રાવાડિયા, રાજુભાઇ ચંદ્રાવાડિયા અને વજશીભાઇ નંદાણિયા સવાર હતા. સવારના સમયે પોરબંદર નજીક નરવાઇ મંદિર અને ચીકાસા વચ્ચેના હાઇવે પર એકાએક કારનુ બેલેન્સ ગયુ હતું, અને કાર ડિવાઈડર સાથે પટકાઈ હતી. કાર પટકાઈને ઊંધી પડી ગઈ હતી. 


આ પણ વાંચો : રેકોર્ડબ્રેક ઘટના : તબીબોએ એક જ દિવસમાં 18 પ્રસૂતિ કરાવીને 18 બાળકોને માતાના ખોળામાં રમતા કર્યાં


આ ઘટનામાં કિશન ચંદ્રાવાડિયા, મયૂર ચંદ્રાવાડિયા અને ઘેલુભાઇ ચંદ્રાવાડિયાના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ત્રણેય યુવકોના લોહીથી હાઈવે રક્તરંજિત થયો હતો. ત્રણેય યુવકો એક જ પરિવારના હતા. તો કારમાં સવાર અન્ય યુવકો રાજુભાઈ અને વજશીભાઈ નંદાણિયાને ભારે ઈજા પહોંચી હતી. જેમને પોરબંદરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. 


ત્રણ યુવાન પુત્રોના એેકસાથે અકાળે થયેલાં મૃત્‍યુને પગલે ચંદ્રાવાડિયા પરિવાર પર આભ તૂટી પડતાં પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે તેમજ નાનાએવા ખજૂરિયા ગામમાં શોકનો માહોલ છવાયો છે.