અમદાવાદ: હાર્દિક પટેલની તબિયત અંગે પાટીદાર સમાજ ચિંતિત છે. ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ હાર્દિક સાથે મુલાકાત કરી હતી. અને મુલાકાત બાદ નરેશ પટેલે જણાવ્યું હતું, કે ઉમિયાધામ અને ખોડલધામ જેવી સંસ્થાઓ એક થઇને સરકાર સાથે હાર્દિકના મુદ્દાઓ સરકાર સમક્ષ રજૂઆત કરશે. ખોડલધામના નરેશ પટેલે મધ્યસ્થી માટે તૈયારી બતાવી હતી. પરંતુ નરેશ પટેલ આજે ગાંધીનગરમાં નહીં જાય. તે પહેલા તેઓ આજે સામાજિક અગ્રણીઓ સાથે બેઠક કરશે અને ત્યારબાદ જ સરકાર સાથે ચર્ચા-વિચારણા કરશે. નરેશ પટેલે હાલ હાર્દિકના સ્વાસ્થ્યમાં સુધારાને પ્રાથમિકતા ગણાવી છે. હાલ પૂરતી સરકાર અને પાટીદાર અગ્રણીઓની બેઠક હવે નહીં થાય. સામાજિક અગ્રણીઓ સાથે ચર્ચા બાદ જ નરેશ પટેલે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરવાનો નિર્ણય લીધો છે.


હાર્દિકની તબીયત લથડતી હોવાથી પારણાં કરાવા અનિવાર્ય: નરેશ પટેલ
હાર્દિક પટેલના ઉપવાસનો આજે છેલ્લો દિવસ છે અને અત્યારે હાર્દિકની તબિયત ખુબજ ખરાબ હોવાથી હાર્દિકના પારણાં કરવવા અનિવાર્ય છે. કારણ કે સતત 14 દિવસથી ભૂખ્યા રહેવાથી તેની હાલત બગડી રહી છે. માટે જ હાર્દિકને સમજાવી પારણાં કરાવ્યા બાદ જ બધી વાત કરીશું. વધુમાં ખોડલધામના ચેરમેન અને અગ્રણી ઉદ્યોગપતિ નરેશ પટેલે જણાય્યું હતું કે, ખેડૂતોનો મુદ્દો મને યોગ્ય લાગે છે, હું પૂરો પ્રયાસ કરીશ કે હાર્દિક પારણા કરી લે. કોઈ સારું કામ હોય તો આગળ આવવું જોઈએ. પાટીદારો જ નહીં પરંતુ આર્થિક રીતે ગરીબ દરેક નબળા વર્ગને અનામત મળવી જોઈએ.