માધવપુરઃ ભગવાન માધવરાય અને માતા રુકમણીના વિવાહની વિધિ સંપન્ન થયા બાદ ભગવાન માધવરાય રુકમણી સાથે વાજતે-ગાજતે માધવરાયજીના નિજમંદિરે પહોંચ્યા હતા. દર વર્ષે ચૈત્ર મહિનામાં આ લગ્નની આબેહૂબ ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીની સાથે-સાથે માધવપુરમાં લગ્નની ખુશીમાં મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. રામનવમીથી લાગતા આ મેળાના ચોથા દિવસ ચૈત્ર સુદ બારસના રોજ ભગવાન માધવરાયજીના માતા રુકમણી સાથેનો વિવાહ પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રસંગ ઉજવાઈ ગયા બાદ રાત્રીના ભગવાન માધવરાય અને માતા રુકમણી યુગલ સ્વરૂપે માધવપુરના મધુવન સ્થિત રુકમણીના મંદિરે રોકાયા હતા અને સવારે ભગવાન જાગ્યા બાદ પોલીસ અશ્વદળ અને અશ્વોને કંસારનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. કંસારનો પ્રસાદ વહેંચાઈ ગયા બાદ ભગવાન રુકમણીજીના મંદિરેથી પરણીને રાણી રુકમણી સાથે મેળાના મેદાનમાંથી પોતાના રથમાં બેસી માધવરાયજીના નિજમંદિરે પહોંચ્યા હતા.



ભગવાન જ્યારે નિજમંદિર તરફ પ્રયાણ કરતા ત્યારે સમગ્ર માધવપુરમાં અબીલ-ગુલાલની છોળ ઉડી હતી અને જાણે કે સમગ્ર માધવપુર ગામ અબીલ ગુલાલના રંગે રંગાઈ ગયુ હોય તેમ જ્યાં જુઓ ત્યાં અબીલ ગલાલ જ જોવા મળતો હતો. ભગવાન માધવરાયજી રાણી રુકમણી સાથે નિજ મંદિરમાં પ્રવેશી કર્યા બાદ પાંચ દિવસીય વિવાહ મહોત્સવ સંપન્ન થયો હતો.



 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube