જાવેદ સૈયદ/ અમદાવાદ: શહેરના અતિ સંવેદનશીલ ગણાતા જુહાપુરાના સરખેજ વિસ્તારમાં જાણે કે અસામાજિક તત્વો બેફામ થઇ ગયા હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી જુહાપુરા સરખેજમાં લુખ્ખા તત્વો દુકાનોમાં ઘૂસીને મારા મારી કરવાના કિસ્સાઓમાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે બે દિવસ પહેલા પણ જુહાપુરાના એક સ્ટોરમાં કેટલાક અસામાજિક તત્વોએ દુકાનમાં ઘુસીને તોડફોડ કરી હતી અને અંદર રહેલા સભ્યોને ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુહાપુરાના અંબર ટાવર સામે આવેલી મોટી બેકરીની બાજુમાં રોયલ પાર્લર આવેલું છે. જેમાં બે દિવસ અગાઉ કેટલાક અસામાજિક તત્વો કોઈ વસ્તુ ખરીદી કરવા આવ્યા હતા. જે દરમિયાન દુકાનમાં રહેલા કારીગરોએ તેમના પાસે ખરીદી કરેલી વસ્તુના ૭૦ રૂપિયાની માગણી કરી હતી. પૈસા આપવાના બદલે તેઓએ કારીગરો સાથે રકઝક કરી હતી અને દુકાનના સ્ટાફને પહેલા તો ઢોરમાર માર્યો હતો. 



ત્યારબાદ એક શખ્સે એક દુકાનમાં રહેલા એક યુવક પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવાનને ઈજાઓ પહોંચી હતી. આ મારામારી સ્ટોરમાં રહેલા CCTV કેમરામાં કેદ થઇ ગઈ હતી. હાલ સમગ્ર મામલે યુવાને આ અસામાજિક તત્વો સામે વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યો છે.