મૌલિક ધામેચા/ અમદાવાદ: અમદાવાદના નરોડા વિસ્તારમાં એકજ પરિવારના ત્રણ સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. હરીદર્શન ચાર રસ્તા પાસેના અવની સ્કાયમાં રહેતા કૃણાલ ત્રિવેદી તેની પત્ની અને દિકરીએ સામૂહિક આપઘાત કરી લીધી છે. કોસ્મેટિકનો વેપાર કરતા કૃણાલ ત્રિવેદી છેલ્લા એક વર્ષથી નરોડામાં ભાડે રહેતા હતા. જોકે તેઓએ અગમ્ય કારણોસર સામૂહિક આત્મહત્યા કરી લીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃણાલ ત્રિવેદી તેની પત્ની પુત્રી અને માતા સાથે રહેતા હતા. પરિવારજનો છેલ્લા ચોવીસ કલાકથી સંપર્ક કરતા હતા. જોકે કોઈ ફોન રીસીવ ન કરતા અંતે તેઓ ઘરે આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ઘરમાં તપાસ કરતા કૃણાલ ત્રિવેદી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે તેમના પત્ની અને પુત્રી મૃત હાલતમાં નીચે પડેલા જોવા મળ્યા હતા અને તેઓની માતાને પણ ઝેર આપતા તેઓ બેભાન અવસ્થામાં પડ્યા હતા.


સમગ્ર ઘટનાની જાણ થતા જ નરોડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી. જોકે પોલીસનુ માનવુ છે કે પત્ની પુત્રી અને માતાને ઝેર આપ્યા બાદ પોતે આત્મહત્યા કરી હોઈ શકે છે. હાલમાં પોલીસે બેભાન માતાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડી ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.