ઝી બ્યૂરો, અમદાવાદઃ દિવાળી પહેલાં જ અમદાવાદને મળી સૌથી મોટી ભેટ. હવે અમદાવાદથી ગાંધીનગર જવાના સમયમાં થયો ચમત્કારિક ઘટાડો. પોણો કલાકના બદલે હવે માત્ર 20 મિનિટમાં જ અમદાવાદથી પહોંચી શકાશે ગાંધીનગર. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સૌથી મોટા નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના શહેરી વિસ્તારના સૌથી લાંબા 4.18 કિ.મી.ના ગોતા ફ્લાયઓવરથી સાયન્સ સિટી બોક્સ સુધીના એલિવેટેડ કોરિડોરને અમિત શાહે ખુલ્લો મુક્યો. આ પ્રસંગે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ વાહનવ્યવહાર મંત્રી ઉપસ્થિત રહ્યાં. આ બ્રિજ સોલા ભાગવત, કારગિલ, જનતાનગર, ઝાયડસ એમ 4 સૌથી વ્યસ્ત જંકશનને આવરી લે છે. આ બ્રિજને લીધે એસ.જી.હાઇ‌વે પર ટ્રાફિકની સમસ્યા હળવી થશે. 4.18 કિલોમીટરનો આ ફ્લાયઓવર શહેરનો સૌથી લાંબો બ્રિજ છે.


170 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા 2.36  કિલોમીટર લાંબો આ એલીવેટેડ કોરીડોર કાર્યરત થવાથી અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત રોડ જંકશનોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે . કેન્દ્રીય મંત્રી અમિત શાહના સંસદીય મતક્ષેત્રમાં આવતા એસ.જી. હાઇવે પર નિર્મિત આ એલિવેટેડ કોરીડોરથી સોલા ભાગવત, કારગીલ પેટ્રોલ પંપ, જનતા નગર અને ઝાયડસ એમ મહત્વના ચાર રોડ જંકશનને સીધો લાભ થશે. 

માત્ર 20 જ મિનિટમાં પહોંચાશે અમદાવાદથી ગાંધીનગરઃ
અમદાવાદ-ગાંધીનગરને જોડવા એસજી હાઈવે પર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે. 7 પૈકી 6 ફલાઇ-ઓવર હવે ધમધમતા થઈ ગયા છે. જેથી અમદાવાદથી ગાંધીનગર સુધીનો જવાનો સમય 45 મિનિટથી ઓછો થઈને 20થી 25 મિનિટનો થશે.

6 ઓવરબ્રિજ અને બે રેલવે ઓવરબ્રિજની ભેટ:
માર્ગ-મકાન વિભાગ અને કેન્દ્ર સરકારનાં પરિવહન રાજમાર્ગ મંત્રાલય દ્વારા નિર્માણ થનારા સરખેજ-ગાંધીનગર ચિલોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામનો શિલાન્યાસ 24 સપ્ટેમ્બર 2018માં કરાયો છે. વર્ષ 2016માં સરખેજ ગાંધીનગર હાઇવે ઉપર 6 ઓવર બ્રિજ બનાવવાની મંજૂરી મળી હતી. 867 કરોડના બજેટની 6 ફ્લાય-ઓવર માટે ફાળવણી થઈ હતી. 44.2 કિલોમીટરના આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કુલ 7 ફલાયઓવર, 1 એલિવેટેડ કોરીડોર, 1 અંડરપાસ, 2 રેલવે ઓવરબ્રિજ, વગેરેનો સમાવેશ થાય છે. માત્ર 36 મહિનાના સમયગાળામાં એસજી હાઈવે પર સાત ઓવરબ્રિજમાંથી કુલ 6 ઓવરબ્રિજ અને બે રેલવે ઓવરબ્રિજ ધમધમતા થઈ ગયાં છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 21 જૂને સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર અંદાજે રૂ.80 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા ત્રણ ઓવર બ્રિજ વૈષ્ણોદેવી ફ્લાય-ઓવર બ્રિજ, ખોડિયાર કન્ટેનર યાર્ડ ફ્લાય-ઓવર બ્રિજ અને છત્રાલ-પાનસર રોડ ખાતે રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

દિવાળી પહેલાં અમદાવાદને મળી અનેક ભેટ સોગાત:
અમદાવાદ-ગાંધીનગર જતા હાઈવે પર દરરોજ 1 લાખથી વધુ વાહન ચાલકોની અવર-જવર થતી હોય છે. જેના કારણે સોલા સિવિલમાં આવતા દર્દીઓને લાવા લઈ જવામાં અનેક મુશ્કેલીઓ પડતી હોય છે. ટ્રાફિકના કારણે અનેકવાર એમ્બ્યુલન્સ ફસાઈ જાય છે. તેમજ સોલા સિવિલમાં જવા માટે એમ્બ્યુલન્સને 2 કિ.મી સુધી ફરીને જવું પડે છે જેમા દર્દીઓના સ્વાસ્થ પર ભારે જોખમ ઉભું થાય છે. જોકે હવે આ બ્રિજના લોકાર્પણને કારણે આગામી દિવસોમાં આ મુશ્કેલી દૂર થઈ જશે.