ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ ગ્રામ્યના કણભામાં બેફામ બનેલા ખનન માફીયાએ ગેરકાયદે ખનનનો વિરોધ કરનાર આધેડ પર JCB ફેરવી તેની હત્યા નિપજાવી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે. જોકે ખનન માફિયાનો પણ ગુનાહિત ઈતિહાસ સામે આવતા ખાણ-ખનીજ વિભાગ પણ હરકતમાં આવ્યુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોચરની જમીન પર ગેરકાયદે ખનન થતાં મૃતક દ્વારા વિરોધ
અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કુહા ગામની ગોચર જમીન પર ખનન માફિયા દ્વારા ગેરકાયદેસર માટી ખનન કરવામાં આવતુ હતું. જેનો વિરોધ કરવા જતા 52 વર્ષીય કાંતીજી બારૈયા પર જેસીબી ચલાવી તેમની હત્યા નિપજાવી હતી. જે હુમલામાં અન્ય એક યુવકને પણ ઈજાઓ પહોંચી હતી. જે ગુનામાં પોલીસે જેસીબી ચાલક વિપુલ કલારા અને ક્લિનર જીતમલ મહિડાની ધરપકડ કરી છે. મહત્વનું છે કે ગોચરની જમીન પર ગેરકાયદે ખનન થતા મૃતક તેનો વિરોધ કરી રહ્યા હતા. જે રોકવા જતા કાંતીજી બારૈયાને મોત મળ્યુ છે. જે અંગે પોલીસે હત્યાના ગુનામાં બેની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી. વધુ આરોપીની શોધખોળ શરૂ કરી છે.


પોલીસે હત્યાનો ગુનો નોંધી હકિકત સામે આવી!
કણભા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કરતા હકિકત સામે આવી કે ગોચરની જમીન પર ગેરકાયદે ખનન કરવામાં આવતુ હતું. જેથી પોલીસે એક જેસીબી, 3 આઈવા ટ્રક, એક બાઈક અને મોબાઈલ સહીતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે જ આરટીઓ દ્વારા તપાસ કરતા ખનન માફિયા એવા હિરા લામકા અને તેના પુત્ર અક્ષય લામકાનું નામ સામે આવ્યુ છે. જેઓ ગેરકાયદેસર સરકારી જમીનમાં ખનન કરી માટીનું વેચાણ કરતા હતા. જેથી પોલીસે ખાણ-ખનીજ વિભાગને પણ આ અંગે જાણ કરી છે. જેથી વધુ કાર્યવાહી થઈ શકે.


હત્યાના ગુનામાં શું થાય છે નવા ખુલાસા?
ખનન માફિયા પિતા પુત્રનું નામ સામે આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ હત્યામાં તેમની કોઈ સંડોવણી છે કે કેમ અને અગાઉ કેટલા ગુના તેમના વિરુધ્ધ નોંધાયા છે. જે અંગે તપાસ શરૂ કરી છે. ત્યારે જોવું એ રહ્યું કે કણભા પોલીસની તપાસમાં શું નવી હકિકત સામે આવે છે. અને હત્યાના ગુનામાં શું નવા ખુલાસા થાય છે.