ગૌરવ પટેલ, ઝી મીડિયા બ્યુરો, અમદાવાદ: ગુજરાતમાં કૂદકેને ભૂસકે કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. એમા પણ અમદાવાદમાં સૌથી વધુ કેસ જોવા મળી રહ્યાં છે. આજે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જે આંકડા જાહેર થયા તે મુજબ ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ 432 થયા છે જ્યારે અમદાવાદ અને વડોદરા કોરોનાના હોટસ્પોટ બની ગયા છે. અમદાવાદમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 228 થયો છે. જ્યારે 7 અને આજના 2 એમ કુલ 9 લોકોએ અત્યાર સુધીમાં અમદાવાદમાં જીવ ગુમાવ્યાં છે. જ્યારે ગુજરાતનો કોરોનાના કારણે મૃત્યુઆંક 19 થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ પણ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કોરોના મામલે ઉપયોગી માહિતી પૂરી પાડી. તેમણે કહ્યું કે ગઈ કાલ સવાર સુધીમાં અમદાવાદમાં 139 કેસ હતાં જ્યારે છેલ્લા 24 કલાકમાં 86 કેસ નોંધાયા. તેમણે ખાસ કહ્યું કે આવનારા દિવસોમાં સેંકડો અને હજારો કેસો નીકળે અને લાખો કેસ નોંધાવવાની શક્યતા પણ નકારી શકાય નહીં. અમદાવાદ અને એમાંય કોટ વિસ્તારમાંથી બહાર નીકળવું રીસ્કી છે. સામાજિક રાજકીય અને ધાર્મિક આગેવાનો અપીલ કરે. તેઓ ખાસ લોકોને બહાર ન નીકળવા માટેની અપીલ કરે. આજથી અમદાવાદ મહાનગર પાલિકા કોવિડ કેર સેન્ટર શરૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નહેરાએ વધુમાં કહ્યું કે છેલ્લા ચાર દિવસથી મોટા પાયે ટેસ્ટિંગ હાથ ધરાયું છે. પેસીવ સર્વેલન્સમાં 1059 નમૂના લેવાયા છે જ્યારે એક્ટીવ સર્વેલન્સમાં 3637 સેમ્પલ લેવાયા હતાં. આમ ટોટલ 4696 સેમ્પલ લેવાયા. જે પૈકી 225 પોઝિટિવ આવ્યાં. તેમના કહેવા મુજબ આટલા મોટા પાયે ચેકિંગ હાથ ધરાતા કેસ શોધવામાં સફળતા મળી. કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરીને ચેક પોસ્ટ ઊભી કરાઈ છે. 


નહેરાએ કહ્યું કે આરોગ્યની ટીમે પાંચ લાખ 210 લોકોને આવરી લઈને ચેકિંગ હાથ ધર્યું. 678 સેમ્પલ લેવાયા. દરેક પોઝિટિવ કેસમાં કોન્ટેક્ટ શોધીને તેમને ક્વોરન્ટાઈન કરાયા. 1774 લોકોને ક્વોરન્ટાઈન કરાયાં. એક પોઝિટિવ કેસથી અંદાજે ચારસોથી પાંચસો લોકોને ચેપ લાગી શકે છે. 700થી 800 લોકોની ટીમો સઘન કામગીરી આ અંગે કરી રહી છે. સામેથી કેસ શોધવાના કારણે સફળતા મળી રહી છે. 


વાયરસ પોતાની રીતે મલ્ટીપ્લાય થતો નથી
કમિશનર નહેરાએ વધુમાં કહ્યું કે કોરોના ચેકપોસ્ટ ઊભી કરીને 13 પોસ્ટ પર 24 કલાક 26350 વ્યક્તિઓના ચેકિંગ કરાતા 39 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં. શહેરના તમામ ઝોનમાં સર્વેલન્સની કામગીરી 748 ટીમોએ 5 લાખથી વધુ લોકોની તપાસીને હાથ ધરી. જે વિસ્તારોમાં લોકડાઉનનું પાલન થયું ત્યાં કેસ અટકાવી શક્યાં. જ્યાં લોકડાઉનનો અસરકારક રીતે અમલ નથી ત્યાં કેસ વધારે છે. આ વાયરસ પોતાની રીતે મલ્ટીપ્લાય થઈ શકતો નથી. 


'આવનારા દિવસોમાં સેંકડો, હજારો કેસ નીકળે અને લાખો કેસ નોંધાવવાની શક્યતા પણ નકારી શકાય નહીં'
તેમણે કહ્યું કે વાયરસ મનુષ્યના શરીરમાં પ્રવેશ્યા બાદ મલ્ટીપ્લાય થાય છે. વાયરનો વાહક મનુષ્ય છે. જો લોકો પોતાના ઘરે રહેશે તો તેને અટકાવી શકીશું. આવનારા દિવસોમાં સેંકડો અને હજારો કેસો નીકળે અને લાખો કેસ નોંધાવવાની શક્યતા પણ નકારી શકાય નહીં. અમદાવાદ અને એમાય કોટ વિસ્તારમાંથી બહાર નીકળવું રીસ્કી છે. સામાજિક રાજકીય અને ધાર્મિક આગેવાનો અપીલ કરે. તેઓ ખાસ લોકોને બહાર ન નીકળવા માટેની અપીલ કરે. આજથી અમદાવાદ મહાનગર પાલિકા કોવિડ કેર સેન્ટર શરૂ થશે. 


મહાનગર પાલિકા કોવિડ કેર સેન્ટર
તેમણે કહ્યું કે પોઝીટીવ આવેલા લોકોને ત્યાં રાખવામાં આવશે. કોઈ પણ જાતના લક્ષણ ન ધરાવતા લોકોને ત્યાં રખાશે. 27*7 ડોક્ટરો અને એમ્યુલન્સની વ્યવસ્થા રાખવામાં આવશે. જો કોઈ તકલીફ ઊભી થાય તો તેને હોસ્પિટલમાં ખસેડાશે. નાના બાળકો અને સિનિયર સિટિઝનની સારવાર હોસ્પિટલમાં થશે. 18થી 60 વર્ષના પોઝિટિવ લોકો કે જેમને બીપી કે ડાયાબિટિસ કે અન્ય કોઈ બીમારી ન હોય તે લોકોને કોવિડ સેન્ટરમાં રખાશે. 


જુઓ LIVE TV



નહેરાએ વધુમાં કહ્યું કે આ સિવાય એએમસી કોવિડ હેલ્થ સેન્ટર ઊભુ કરવામાં આવશે. જે વ્યક્તિને ઓક્સિજનની જરૂર હશે તે ત્યાં પ્રોવાઈડ કરાશે. જે લોકો સફળતાપૂર્વક કોરોનાને હરાવી ચૂક્યા છે તે લોકોનો સામેથી સંપર્ક કરીને તેમને કોવિડ કેર સેન્ટરમાં કોવિડ કેર ટેકર તરીકે રાખવામાં આવશે. કોરોનાથી સાજા થયેલા લોકો સેવા આપવા તૈયાર થયા છે. કોવિડ સેન્ટરમાં ભોજન અને બીજી સેવાઓ અપાશે. કોવિડ ફાઈટર તરીકે તેઓ સેવા આપશે. 


સિવિલમાં સારવાર શરૂ
તેમણે કહ્યું કે સિવિલમાં સારવાર શરૂ થઈ ગઈ છે. એસવીપીમાં 50 બેડ પુરા થઈ જતા હવે સિવિલમાં રેફર કરવામાં  આવે છે. લોકડાઉન વધારવું કે નહીં તે અંગે મહાનગર પાલિકએ રાજ્યને અને રાજ્યએ કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે. છેલ્લો નિર્ણય કેન્દ્ર સરકાર લેશે. અમારો અભિપ્રાય અમે રાજ્ય સરકારને આપ્યો છે તેઓ નિર્ણય કરશે. હાલના તબક્કે શહેરીજનો બને ત્યાં સુધી ઘરની બહાર ન નીકળે. અમદાવાદના નગરજનોને વિનંતી છે કે લોકડાઉન હટે તો પણ ઘરમાં રહેવું હિતાવહ છે. 


દર્દીઓના નામ જાહેર કરવા અંગે તેમણે કહ્યું કે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરીને આગામી નિર્ણય લેવામાં આવશે. કોઈ પણ તહેવાર હાલના સંજોગોમાં ઉજવાશે નહીં. તેની કોઈએ મંજૂરી માંગવી નહીં. તહેવારની ઉજવણી પોતાના ઘરોમાં જ કરવાની રહેશે.