સંજય ટાંક/અમદાવાદઃ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બાળકો માટે ઓરી રુબેલા રસી આપવાનું અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી બનેલી ઘટનાઓ અને કિસ્સાઓને પગલે રુબેલા રસીકરણ અભિયાનને જોઈએ તેટલો પ્રતિસાદ મળી રહ્યોં નથી. જેના કારણે આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રુબેલા રસી શું છે અને કેમ તે બાળકને આપવી જરુરી છે તે સમજાવવા માટે શહેરની ખાનગી શાળાના આચાર્યો અને શિક્ષકો સાથે બેઠક યોજાઈ હતી.  કોર્પોરેશન કચેરીમાં ઉપસ્થિત રહેલા આચાર્યો અને શિક્ષકોને રુબેલા રસીકરણ વિશે સમજ આપવામાં આવી હતી. 


એટલું જ નહિ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં રુબેલા વેકસીનના કારણે બાળકોને આડ અસર થતી હોવાના આક્ષેપો જે તે બાળકના માતા પિતા દ્વારા કરાયા હતા. જેથી બાળકોના માતા પિતા પોતાના બાળકને વેક્સીન અપાવવાથી ગભરાઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદના મેયર બિજલબેન પટેલની અધ્યક્ષતામાં આરોગ્યના અધિકારીઓ દ્વારા બાળકોના માતાપિતામાં રહેલી આ ગભરાટ અને ચિંતાને દૂર કરવા શિક્ષકો અને આચાર્યોને ખાસ સમજ આપવામાં આવી. મહત્વનું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની તેમજ અન્ય સરકારી શાળાના બાળકો મળીને કુલ 4 લાખ જેટલા બાળકોને અત્યાર સુધીમાં રુબેલા વેક્સીન અપવામાં આવી ચુકી છે. પરંતુ તેમ છતાં શહેરની ખાનગી શાળાના બાળકોમાં આ રસીકરણ જોઈએ તેટલો પ્રતિસાદ મળી રહ્યોં નથી.