મૈૌલિક ધામેચા/અમદાવાદ : આજે પ્રેમીઓનો વેલેન્ટાઈન ડે છે. ત્યારે અમદાવાદમાં વેલેન્ટાઈન ડેને લઈ બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. બજરંગ દળ દ્વારા મોડી રાત્રે જાહેર ચેતવણી લગાવીને વિરોધ કરાયો હતો. ત્યારે હવે આજે જાહેર સ્થળો તેમજ ગાર્ડનમાં પણ બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવે તેવી શક્યતા છે. ત્યારે પોલીસે અગમચેતીના ભાગ રૂપે રિવરફ્રન્ટ ગાર્ડન પાસે ચુસ્ત બંદોબસ્ત ખડી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેલેન્ટાઈન ડેના દિવસે દર વર્ષે બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવે છે. બજરંગ દળના કાર્યકર્તાઓ રિવરફ્રન્ટ તથા શહેરના અન્ય જાહેર વિસ્તારોમાં પ્રેમીપંખીડાઓનો વિરોધ કરતા દેખાતા હોય છે. ત્યારે આજે કોઈ અફરાતફરી ન સર્જાય તે હેતુથી પોલીસ દ્વારા રિવર ફ્રન્ટ પર ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. બજરંગ દળના વિરોધ કરવાના શક્યત સ્થળો પર શહેર પોલીસે સુરક્ષા ઉભી કરી છે. મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસને પણ તૈનાત કરી છે. ગાર્ડનમાં આવનાર લોકોને કોઈ હેરાનગતિ ન થાય તે માટે વ્યવસ્થા કરાઈ છે. 


અમદાવાદમાં બજરંગ દળે વેલેન્ટાઇન ડેનો વિરોધ કર્યો છે. બજરંગ દળના કાર્યકરો રિવરફ્રન્ટ પર ધસી આવ્યા હતા. કેસરિયો ખેસ પહેરીને રિવરફ્રન્ટ પર દોડી આવેલા બજરંગ દળના કાર્યકરોએ દહેશતનો માહોલ ઉભો કર્યો હતો. કાર્યકરોએ બેનર અને જાહેર ચેતવણીના પોસ્ટર લઇને વિરોધ કર્યો હતો. ત્યારે પોલીસ અને બજરંગ દળના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઇ હતી. પોલીસે રિવરફ્રંટ પર બેફામ બનેલા બજરંગ દળના દસ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. બજરંગ દળે અમદાવાદની દિવાલો પર જાહેર ચેતવણીના પોસ્ટર પણ લગાવ્યા હતા.


તો બીજી તરફ, કોલેજની બહાર લવજેહાદની પત્રિકાઓ બજરંગ દળ દ્વારા ફરતી કરવામાં આવી છે. બજરંગ દળના કાર્યકર્તા જ્વલિત મહેતાએ જણાવ્યું કે, વેલેન્ટાઈન ડેને ધ્યાનમાં રાખીને અમે કોલેજની અંદર ચેતવણી પત્ર લગાવ્યા છે. 
જ્યાં યંગસ્ટર્સ એકઠા થાય છે ત્યાં પત્ર લગાવ્યા છે. તેમને પોઝીટિવલી સમજાવ્યા છે કે વેલેન્ટાઈન ડે કેમ ન મનાવવો. હિન્દુ સંસ્કૃતિ નષ્ટ કરવાનું જે ષડયંત્ર ચાલે છે તેનો વિરોધ અમારો છે. વેલેન્ટાઈન ડેને કારણે યુવતીઓ લવજેહાદનો ભોગ બનતી હોય છે તેવું પણ અમારા ધ્યાનમાં આવ્યું છે. સાંજે પણ જે જગ્યાઓએ યુવક-યુવતીઓ ભેગા થાય છે ત્યાં જઈને સમજાવીશું, નહિ તો બજરંગ દળની સ્ટાઈલમાં તેમનો વિરોધ કરીશું.