Ahmedabad Property News: ટ્રાન્સફર ફી મુદ્દે હવે નહીં મળે કોઈ છટકબારી! નવી બનનારી મિલકતમાં બિલ્ડર જ ગણાશે પ્રથમ માલિક

Property News: અમદાવાદમાં નવી ઊભી થનારી પ્રોપર્ટીઓ અને ટ્રાન્સફર ફી મુદ્દે મહત્વના સમાચાર આવ્યા છે. એક નવો ઠરાવ પસાર થયો છે જેની વિગતો ખાસ જાણો.
પ્રોપર્ટી મામલે એક મહત્વના સમાચાર આવ્યા છે. જો તમે પ્રોપ્રટી લેવાનું વિચારતા હોવ તો જાણવું ખાસ જરૂરી છે. ટ્રાન્સફર ફી મુદ્દે એક મહત્વના અપડેટ આવ્યા છે. એએમસીની રેવન્યૂ કમિટીની બેઠક યોજાઈ જેમાં ટ્રાન્સફર ફી મુદ્દે એક મોટો નિર્ણય લેવાયો અને ત્યારબાદ હવે એવી આશા સેવાઈ રહી છે કે પ્રોપર્ટી વેચાયા બાદ ટ્રાન્સફર ફી ભરવા મુદ્દે બિલ્ડરો દ્વારા જે છટકબારી હાથ ધરાતી હતી તેનો ઉકેલ આવી જશે.
પ્રોપર્ટીનો પ્રથમ માલિક કોણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યૂ કમિટીમાં થયેલા ઠરાવ મુજબ હવે અમદાવાદ સિટીમાં જે પણ નવી પ્રોપર્ટી ઊભી થશે તે તમામનો પ્રથમ માલિક બિલ્ડર જ ગણાશે. આ સમગ્ર મુદ્દે રેવન્યૂ કમિટીના ચેરમેન અનિરુદ્ધ સિંહ ઝાલાએ કહ્યું કે, અમદાવાદ મહાનગરપાલિકાને થતી આવકમાંથી એક આવક પ્રોપર્ટીની ટ્રાન્સફર ફીની છે. આ આવક બાબતે રેવન્યુ કમિટીમાં ચર્ચા કરવામાં આવી. કેટલાક કિસ્સાઓમાં એવું જોવા મળે છે કે બિલ્ડર બી યુ પરમિશન પહેલા કેટલાક મકાનોનું વેચાણ કરે છે જેની ટ્રાન્સફર ફી પાછળથી મેળવવી મુશ્કેલ બને છે. બીયુ પરમીશન મળ્યા પછી બિલ્ડર પાસેથી ગ્રાહક જ્યારે મકાન ખરીદે છે તો માલિકી હક બદલાતો હોય છે જેથી નવા માલિક પાસેથી મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાન્સફર ફી મેળવવા હકદાર છે. આ સંજોગોમાં બીયુ પરમીશન મેળવ્યા પહેલા પણ વેચાતાં મકાનોમાં પ્રથમ માલિક બિલ્ડરને ગણીએ તો ખરીદદાર ગ્રાહક બીજો માલીક જ થાય છે ત્યારે તેમની પાસેથી પણ ટ્રાન્સફર ફી વસુલવામાં આવી જોઇએ. બીજું પહેલા પણ જે મકાનો વેચાઈ જાય છે તે મકાનો લેનાર પાસેથી પણ ટ્રાન્સફર ફી વસૂલવા તાકીદ કરવામાં આવી છે. આ નિયમ મુજબ એક બિલ્ડીંગમાં જેટલા પણ મકાન બનશે તે તમામ મકાન પાસેથી ટ્રાન્સફર ફી વસૂલવામાં આવશે આ નિયમ તાત્કાલિક અસરથી લાગુ પડશે.
અત્રે જણાવવાનું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટ્રાન્સફર ફી તરીકે લગભગ 18 કરોડ જેટલી આવક થાય છે. જેમાં આ નવો બિલ્ડરને પ્રથમ માલિક ગણવાનો ઠરાવ પાસ થયા બાદ હવે આ આવકનો આંકડો 25 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.
કેટલી ટ્રાન્સફર ફી વસૂલાય છે
નામ ટ્રાન્સફર માટે 25 લાખ રૂપિયા સુધીની રહેણાંક મિલ્કત પર 1000 રૂપિયા જ્યારે 50 લાખ રૂપિયા સુધીની મિલકત પર 2000 રૂપિયા. અને 50 લાખ રૂપિયાથી 1.50 કરોડ રૂપિયાની મિલ્કત હોય તો 0.1 ટકા (દસ્તાવેજ પ્રમાણે) જ્યારે કોમર્શિયલ પ્રોપર્ટી હોય તો 25 લાખ રૂપિયા સુધીની મિલ્કત પર 2000 રૂપિયા, 50 લાખ રૂપિયા સુધીની હોય તો 4000 રૂપિયા અને 50 લાખથી 1.50 કરોડ સુધીની હોય તો 0.2 ટકા (દસ્તાવેજ પ્રમાણે) ફી વસૂલાય છે.