Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે પરિણામની ઘડી નજીક આવી ગઈ છે. જેને લઈ તમામ રાજકીય પક્ષોના કેટલાય ઉમેદવારો ભારે તણાવ અને ટેંશન પણ હશે તો કેટલાક હળવાશમાં...પરંતુ આજે અમે તમને એવા નેતા સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છે જે હંમેશા નિજાનંદમાં જ રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફતેસિંહ જમીન સાથે જોડાયેલા એવા નેતા છે જે ટિકીટની જાહેરાત થઈ ત્યારે પણ ખેતરમાં કામ કરી રહ્યા હતા અને આજે પરિણામના આગલા દિવસે પણ ખૂબ જ હળવાશ સાથે ખેતરમાં કામ કરી રહ્યા છે અને પરિવાર સાથે હળવાશની પળો માણી રહ્યા છે.



પંચમહાલ જિલ્લાની કાલોલ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ બે વખત જૂની રાજગઢ વિધાનસભામાં ધારાસભ્ય રહ્યા હોવા છતાં ખૂબ સાદું જીવન જીવે છે. તેમની સાદગી મતદારોને પણ ઘણી પસંદ છે. સાદું જીવન ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર છે. પોતે ખેડૂત હોવા સાથે સાથે ભજનિક પણ અને ફાયરબ્રાન્ડ હિન્દુત્વ વાદી નેતાની છબી ધરાવે છે. 



સવારે વહેલા ઉઠી નિત્ય ક્રમ મુજબ સૂર્યનારાયણની આરાધના સાથે દિનચર્યાની શરૂઆત અને બાદમાં પૂજા તેમનો નિત્ય ક્રમ છે. સવારે થોડો સમય પરિવાર સાથે વિતાવી દરરોજ સવારે મળવા આવેલા પોતાના મત વિસ્તારના લોકોને સાંભળે છે.



ત્યારબાદ પોતાના ખેતરમાં જઈ ખેતીના કામે લાગી જાય છે. તેઓ જાતે જ ખેતી અને પશુપાલનનું કાર્ય પણ કરે છે. ફતેસિંહનું જીવન એટલી સાદાઈથી ભરેલું છે કે આજના હાઈટેક યુગમાં પણ તેઓ સાદો જ મોબાઈલ વાપરે છે. તેમનું સોશિયલ મીડિયા તેમના દીકરાઓ હેન્ડલ કરે છે.



ફતેસિંહ ભજનિક હોવાથી જ્યારે લાક્ષણિક પોતાની અદામાં અને સુંદર રાગ સાથે આજે પણ તેઓ ભજન લલકારે છે, ત્યારે બે ઘડી સાંભળવાનું મન થાય. વર્ષો પહેલા ફતેસિંહે પોતાના અવાજમાં ભજનનું આલ્બમ પણ બનાવ્યું હતું. પોતાના ધર્મગુરુ બાદ ફતેસિંહ રાજકીય રીતે નરેન્દ્ર મોદીને પોતાના ગુરુ માને છે અને નરેન્દ્ર મોદી ફતેસિંહને ભગતનું હુલામનું નામ આપ્યું છે.



આજે પરિણામના આગલા દિવસે પણ પરિણામની ચિંતા વિના ફતેસિંહ પોતાના પરંપરાગત વ્યવસાય એટલે કે ખેતીમાં લાગી ગયા છે. ફતેસિંહ જમીન સાથે જોડાયેલા નેતા છે. ટીકીટની જાહેરાત થઇ અને ભાજપે તેમને ઉમેદવાર જાહેર કર્યા તે વખતે પણ ફતેસિંહ પોતાના ખેતરમાં હતા અને તેમને ઘરના સભ્યો દ્વારા જાણ કરવા માં આવી હતી કે તેમનું નામ ઉમેદવાર તરીકે જાહેર થયું છે. હાલ તેમના ઘરની સ્થિતિ પણ સામાન્ય ખેડૂત જેવી જ છે. ફતેસિંહની સાદગી અન્ય નેતાઓને પ્રેરણા પુરી પાડી શકે તેવી છે.



હાલ પરિણામ પહેલા ફતેસિંહ ચૌહાણે જ્યારે ઝી 24 કલાક સાથે વાત કરી ત્યારે પોતે 1 લાખ ઉપરાંતની લીડ સાથે જીતી રહ્યા હોવાનો તેમજ ગુજરાતમાં જંગી બહુમતીથી ભાજપની સરકાર બની રહી હોવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.