હિતલ પરીખ/સમીર બલોચ/ગુજરાત : ઠોકાર સેનાનો અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની કોંગ્રેસ પક્ષ સાથેની નારાજગી કોઈનાથી છુપી નથી. તાજેતરમાં જ તેઓ પક્ષના નારાજ નેતાઓ સાથે બેઠકમાં જોવા મળ્યા હતા. તો બીજી તરફ, તેઓ કોંગ્રેસની કારોબારી બેઠકમાં પણ ગેરહાજર રહ્યા હતા. જેના બાદ તેમની ભાજપમાં જોડાવાની ચર્ચાઓ થઈ હતી. ત્યારે આજે અલ્પેશ ઠાકોર મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા હતા. જેને કારણે તેમની ભાજપમાં જોડાવાની અટકળો વધુ તેજ બની હતી અને રાજકીય બેડામાં ચર્ચા થઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા મુખ્યમંત્રી વિજય રૂપાણીને મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા. તેમણે આ મુલાકાતનો હેતુ અલ્પેશની એકતા યાત્રા દરમિયાન પોલીસે ખોટી હેરાનગતિ મામલે ફરિયાદ કરતી હોવાનો જણાવ્યો હતો. અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચી મુલાકાત કરી હતી. સીએમ રૂપાણી અને અલ્પેશ ઠાકોર વચ્ચે લગભગ અડધી કલાક સુધી ચર્ચા ચાલી હતી. 


તો બીજી તરફ, ઈડરમાં ઈડર નાગરિક સહકારી બેંકના સુવર્ણ જયંતી મહોત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી. જ્યાં મુખ્યમંત્રીને અલ્પેશ ઠાકોરની મુલાકાત અંગે પૂછતા તેમણે જણાવ્યું કે, તમામ કોંગ્રેસના ધારાસભ્યો મને મળવા આવે છે. તેમાં કંઈ ખાસ નથી.


ઉલ્લેખનીય છે કે, આ મુલાકાતનો હેતુ ભલે સ્પષ્ટ કરી દેવામાં આવ્યો હોય, પરંતુ બંને પક્ષોમાં અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની વાતે તૂલ પકડ્યું છે. તેમજ આ પહેલા એકતા યાત્રા દરમિયાન અલ્પેશ ઠાકોરે ભાજપના નેતા શંકર ચૌધરી સાથે પણ મુલાકાત કરી હતી, ત્યારે પણ ચર્ચાનો દોર શરૂ થયો હતો.