અર્પણ કાયદાવાલા/અમદાવાદ: અમદાવાદ શહેરમાં વરસાદને કારણે રસ્તાને નુકસાન થયું છે. સ્માર્ટ સિટીના રસ્તા ડિસ્કો કરતા રસ્તા બન્યા છે. અમદાવાદના રોડ પરથી પસાર થાઓ તો તમને રોલર કોસ્ટર રાઈડમાં બેસ્યા હોય તેવો અનુભવ થાય છે. અમદાવાદના રસ્તાઓ પર ઠેરઠેર એટલા ખાડા પડી ગયા છે કે ખાડામાં રોડ છે કે રોડ પર ખાડો છે તે સમજાતુ નથી. ત્યારે હવે અમદાવાદ કોર્પોરેશન દ્વારા થીગડા મારો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ચોમાસામાં પડેલા 23944 ખાડા પર  19 ઓગસ્ટથી અત્યાર સુધી થીંગડા મારવામાં આવ્યા છે. તંત્રનો દાવો છે કે આગામી 15 સપ્ટેમ્બર સુધી શહેરનાં તમામ ખાડા પૂરી દેવામાં આવશે. જોકે, આ કામગીરીથી અમદાવાદ કોર્પોરેશનની પોલ ખુલ્લી પડી છે. કોર્પોરેશન એવા તો કેવા રોડ બનાવે છે કે તેમને ખાડા પૂરવા માટે થીંગડા અભિયાન શરૂ કરવુ પડે છે. આ કામગીરી કોર્પોરેશનની છબી માટે કાળી ટિલ્લી સમાન કહેવાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં આ વરસાદમાં પડેલા 15 હજાર કરતાં વધુ ખાડા પૂરવામાં આવ્યા છે. હવે ફરી ખાડા પડ્યા છે, ત્યારે તંત્ર ફરી થીંગડા મારવાની કામગીરીમાં જોતરાયું છે. કોર્પોરેશન દ્વારા આગામી 15 સપ્ટેમ્બર સુધીમાં ખાડા પૂરવાની વાત કરાઈ છે, જોકે તેનું અમલીકરણ થાય છે કે કેમ તે જોવું રહ્યું. 


આ પણ વાંચો : દારૂ માટે ડ્રાય સ્ટેટ કહેવાતા ગુજરાતની શરમજનક ઘટના, દારૂના નશામાં મિત્રોએ યુવકના પ્રાઈવેટ પાર્ટમાં ગ્લાસ નાંખ્યો


અત્યાર સુધી શહેરમાં શહેરમાં પૂરેલા ખાડાને ઝોન વાઈઝ જોઈએ તો


  • પશ્ચિમ - ૩૦૬૯ ખાડા

  • ઉત્તર પશ્ચિમ - ૩૭૫૭ ખાડા

  • દક્ષિણ પશ્ચિમ - ૨૭૭ ખાડા 

  • પૂર્વ ઝોન - ૪૦૬૬ ખાડા 

  • દક્ષિણ - ૬૧૦૯ ખાડા

  • મધ્ય ઝોન - ૨૬૭ ખાડા

  • ઉત્તર ઝોન - ૩૮૨૦ ખાડા 

  • કુલ ખાડા - 21365 ખાડા 


જો કોર્પોરેશન આ ચોમાસામાં પડેલા ખાડાના આંકડા આપતું હોય તો તેમણે શરમ કરવા જેવી વાત છે. જો અમદાવાદના રસ્તાઓનું પહેલા જ ચોમાસામાં ધોવાણ થઈ જતુ હોય તો કોર્પોરેશન માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી વાત છે. કોર્પોરેશન કેટલા ખાડા પૂર્યાનો આંકડો આપીને સાબિત કરે છે કે અમદાવાદમા વિકાસ ખાડે ગયો છે અને અમદાવાદમાં આટલા ખાડા પડ્યાં છે. રોડ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ આ માહિતી આપતા જણાવ્યું કે, શહેરનાં ખાડા 15 સપ્ટેમ્બર પહેલા પૂરવા તાકીદ કરાઈ છે. અત્યાર સુધી કોલ્ડ મિક્સથી ખાડા પૂરાતા હતા. હવે હોટ મિક્સથી ખાડા પૂરાશે. 


આ પણ વાંચો : ગેસ સિલેન્ડર બ્લેકમાં વેંચવાનું કૌભાંડ, દુકાન માલિકે કહ્યું-આ બ્લેકના જ છે જોઈએ તો લો સબસીડી નહિ મળે


તો બીજી તરફ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત તો કરવામાં આવે છે, પરંતુ જ્યારે વાત તેના અમલીકરણની હોય ત્યારે તે કાગળ પર જોવા મળે છે. થોડા દિવસ પહેલા એટલે કે 27 જુલાઈના રોજ કોર્પોરેશન દ્વારા નિર્ણય કરાયો હતો કે, નવા બનનારા અને નવા બનેલા રોડ ઉપર તકતી લગાવવામાં આવશે. તકતી પર કોન્ટ્રાક્ટરનું નામ તેને ચૂકવેલ રકમ અને રોડ બન્યાનો સમયગાળો લખવામાં આવશે. આ નિર્ણય લેવાયાને એક મહિના જેટલો સમય થવા આવ્યો હોવા છતાં તેનું અમલીકરણ થયું નથી. જો રોડની માહિતી આપતી તકતી હોય તો લોકો કોન્ટ્રાક્ટર પાસે સીધો જવાબ માંગી શકે. પરંતુ હજુ સુધી તકતી લગાવવામાં કામગીરી કરવામાં આવી નથી. 


મહત્વની બાબત એ છે કે, થોડા વર્ષ પહેલાં કોર્પોરેશન દ્વારા આ રીતે પતરાના બોર્ડ લગવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેનુ અમલીકરણ કરાયુ નથી. તંત્રનુ માનીએ તો બોર્ડ પતરાના હોવાથી લોકો ચોરી જતા હતા. જેથી તેનું અમલીકરણ થઈ શક્યું નથી. હવે જોવાનું એ રહે છે કે આ નિર્ણય નો અમલ ક્યારે થાય છે.