ચેતન પટેલ/ સુરત: સુરત પુણાગામ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં અને માર્કેટોમાં વધતી અસામાજીક તત્વોની દાદાગીરી સામે લોકોમાં પ્રચંડ રોષ જોવા મળે છે. ગઇ સાંજે આ વિસ્તારમાં અસામાજીક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો અને પાંચ દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી જેના વિરોધમાં આજે પુણા વિસ્તારમાં દુકાનદારોએ બંધ પાળીને વિરોધ વ્યક્ત કર્યો હતો. આ વિસ્તારમાં લુખ્ખા તત્વો પોલીસને પણ ગણકારતા નથી અને જાહેરમાં હથિયારો સાથે આવીને દાદાગીરી કરતા હોવાનું સ્થાનિક લોકોનું કહેવુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા અંજની અને બુટ ભવાની સોસાયટી વિસ્તારમાં અસામાજીક તત્વો દ્વારા ગત રોજ સાંજે પાંચ દુકાનોમાં હથિયારો સાથે હુમલો કરીને તોડફોડ કરવામાં આવી હતી. એક સાથે ટોળામાં આવેલા લુખ્ખાઓએ સ્થાનિક લોકોને ધમકાવીને આ વિસ્તારની દુકાનો બંધ કરાવી દીધી હતી. આ ઘટનાને પગલે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ગત રોજની ઘટના અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણકારી આપી હતી. 


જો કે, પોલીસને પણ આ અસામાજીક તત્વો ગાંઠતા નથી અને તેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે પુણા વિસ્તારના દુકાનદારોએ અસામાજીક તત્વોના ત્રાસના વિરોધમાં પોતાની દુકાનો બંધ રાખી અને વિરોધ વ્યક્ત કર્યો હતો. જો પોલીસ દ્વારા આગામી દિવસોમાં આ અંગે અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો લોકો દ્વારા લડતના મંડાણ કરવામાં આવશે એવુ પણ સ્થાનિક અગ્રણીઓએ જણાવ્યું હતું.