ઝી બ્યુરો/વડોદરા: વડોદરામાં સાળા-બનેવીના અપહરણ બાદ બનેવીની હત્યાના બનાવમાં  હરણી પોલીસે આરોપી રાજુ ભરવાડ અને બેચર ભરવાડની મોડી સાંજે વડોદરા જિલ્લાના ડભોઇ પાસેથી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. હત્યારા મહારાષ્ટ્ર થી પરત ફરી રહ્યા હતા ત્યારે સર્વેલન્સ સ્ક્વોડે દબોચી લીધા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાર્મ હાઉસમાં લઇ ગયા હતા
આ અંગે એસીપી જી.બી. ભાભણીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભંગારનો વ્યવસાય કરનાર સાળા અને બનેવી રાજુનાથ અને કૈલાસનાથે ચોરીની બેટરી ખરીદી હતી. આ બેટરી ખરીદવા બાબતે રાજુ ભરવાડ અને બેચર ભરવાડ બંનેને પોતાની કારમાં અપહરઢ કરી હાલોલ ફાર્મ હાઉસમાં લઇ ગયા હતા અને દસ ઘણી રકમ માગણી કરવા સાથે  બંનેને ઢોર માર માર્યો હતો. ઉપરાંત લીલા મરચાં ખવડાવ્યા હતા. જેમાં રાજુનાથ બેભાન થઇ જતાં હત્યારા તેને હાલોલ કેનાલ રોડ ઉપર મૂકી દીધો હતો.


મહારાષ્ટ્ર ફરાર થઇ ગયા હતા
વધુમાં જણાવ્યું કે, રાજુનાથને હાલોલ કેનાલ રોડ ઉપર છોડી દીધા બાદ કૈલાસનાથને અન્ય કારમાં વાપી લઇ ગયા હતા. અને આ અંગેની જાણ કોઈને કરવા ધમકી આપી તેઓ મહારાષ્ટ્ર ફરાર થઇ ગયા. બીજી બાજુ હાલોલ પોલીસે રાજુનાથનો મૃતદેહ કબજે કર્યો હતો. અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી..


પરિવારનો સંપર્ક કર્યો
દરમિયાન કૈલાસનાથે પોતાના પરિવારનો સંપર્ક કર્યો હતો. અને આ બનાવ અંગે  હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે ફરાર થઇ ગયેલા હત્યારા રાજુ ભરવાડ અને બેચર ભરવાડ સહિત ચારને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. અને આજે સાંજે સુત્રધાર રાજુ ભરવાડ અને બેચર ભરવાડને ડભોઇ પાસેથી ઝડપી પાડ્યા હતા. 


આરોપીઓને ફાંસીની સજાની માંગ
ઉલ્લેખનીય છે કે મારવડી સમાજના લોકો મોટી સંખ્યામાં સવારથી હત્યારાઓને ઝડપી પાડી ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાસીની સજા આપવાની માગ સાથે ધરણા ઉપર બેઠા હતા. પોલીસે સાત્વના આપતા સમાજે રાજનાથનો મૃતદેહ સ્વિકારી અંતિમ સંસ્કાર માટે વતન લઈ ગયા હતા. 


આરોપીઓની શોધખોળ શરૂ કરી
હરણી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.કે. વેકરીયાએ જણાવ્યું હતું કે, બેટરી ચોરીનો આરોપ મૂકીને બેચર ભરવાડ અને રાજુ ભરવાડ સાળા-બનેવીને ઉઠાવી ગયા હતા અને બંનેને માર મારતા બનેવી રાજુનાથનું મોત થયું હતું. અમે બંને આરોપીઓના ફોટો જાહેર કરીને શોધખોળ શરૂ કરી છે. 


અપહરણ બાદ રાજુનાથની હત્યા
વડોદરાના ગોલ્ડન ચોકડી વિસ્તારમાં ભંગારની દુકાન ધરાવતા સાળા-બનેવીનું અપહરણ કરી ગોંધી રાખી માર મારતા બનેવીનું મોત થયું હતું. બાદમાં સાળાને વાપી નજીક લઈ છોડી મૂક્યો હતો. બાદમાં વડોદરા આવી સાળા કૈલાશનાથ યોગીએ અજાણ્યા ભરવાડોએ અપહરણ કરી બનેવી રાજુનાથની હત્યા કરી હોવાની ફરિયાદ પોલીસ સમક્ષ કરી હતી. જેને લઇ પોલીસે જુદી-જુદી ટીમો બનાવી અપહરણકારો અને મૃતદેહની શોધખોળ હાથ ધરી હતી.


ફાર્મ હાઉસમાં લઈ જઈને બંનેને માર્યા
રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના જોરમુરડા ગામમાં રહેતા રાજુનાથ યોગી છાણી વિસ્તારમાં રહી ગોલ્ડન ચોકડી પાસે દુકાન રાખી ભંગારનો વ્યવસાય કરતા હતા. એમની સાથે મદદમાં એમનો સાળો કૈલાશનાથ યોગી પણ રહેતો હતો. ગત 24 ફેબ્રુઆરીએ દુકાને ટ્રકની બેટરી વેચવા એક ઈસમ આવ્યો હતો. એનું વજન કરીને રૂપિયા 1800 આપ્યા હતા તુરંત જ પાછળ ફોર્ચુનર કારમાં ચાર ભરવાડ જેવા ઈસમો સાળા બનેવીનું અપહરણ કરી આજવા નિમેટા રોડ ઉપર આવેલા ફાર્મ હાઉસમાં લઇ ગયા હતા અને પાઇપ વડે બંને ને માર મારવાનું શરુ કર્યું હતું


પોલીસે મૃતદેહની શોધખોળ શરૂ કરી
અસહ્ય માર મારતાં બનેવી રાજુનાથ બેભાન થઈ ઢળી પડ્યા હતા. જેનાથી ગભરાયેલા અપહરણકારોએ સાળા અને બનેવીને અલગ-અલગ કારમાં નાખીને સારવાર માટે લઇ જઇએ છે એમ જણાવ્યું હતું. કૈલાશનાથને ગાડીમાં બેસાડી શહેરમાં જ બે કલાક સુધી ફેરવ્યા બાદ એને છેક વાપી સુધી લઈ ગયા હતા અને છોડી મૂક્યો હતો બાદમાં સુરત થઈ વડોદરા પહોંચેલા કૈલાશનાથે સગા સંબંધીઓને ઘટના જણાવી બનેવી રાજુનાથની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી અને પોલીસને જાણકારી આપી હતી જેના પગલે ચોંકી ઉઠેલી પોલીસે અપહરણકારો અને મૃતદેહની શોધખોળ કરી હતી. હાલોલ પાસેથી રાજુનાથનો મૃતદેહ મળી આવ્યો હતો.


અપહરણકારોએ સાળા બનેવીને મરચાં ખવડાવ્યા
ભરવાડોએ આજવા નિમેટા ફાર્મ હાઉસ માં લઇ જઇ ચોરીની બેટરી રાખતા હોવાનો આરોપ લગાવી એની કબૂલાત કરાવવા માટે અસહ્ય માર માર્યા બાદ લવિંગયા મરચાં ખવડાવ્યા હતા જેના કારણે રાજુનાથને મોઢા અને ગળામાં અસહ્ય બળતરા થઇ હતી અને પાણી માંગ્યું હતું એ નહીં આપતા રાજુ બેભાન થઈ ઢળી પડ્યો હતો બે દિવસ સુધી ગોંધી રાખવા દરમ્યાન માત્ર એક વાર વડા પાઉં ખવડાવ્યા હતા


રાજુ અને બેચર ભરવાડ સામે ગુનો દાખલ
વડોદરા શહેરના ગોલ્ડન ચોકડી વિસ્તારમાંથી ભંગારવાળાના થયેલા અપહરણમાં બે ટ્રાન્સપોર્ટરો સામે હરણી પોલીસે અપહરણ અને મર્ડરનો ગુનો દાખલ કર્યો છે. બંને ખોડિયારનગર વિસ્તારના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું. હરણી પોલીસે જણાવ્યું હતું કે ‘ગોલ્ડન ચોકડીથી ભંગારવાળાનું અપહરણ કરી તેની હત્યા કરાઈ હતી જે સંબંધમાં રાજુ ભરવાડ અને બેચર ભરવાડ સામે અપહરણ અને હત્યાનો ગુનો દાખલ કરાયો છે. ખોડિયારનગરમાં રહેતાં બંને જણાં રોડલાઈન્સનું કામ કરતાં હોવાનું જાણવા મળે છે.