હાર્દિક દિક્ષીત/વડોદરા: વડોદરા શહેરમાં ભગવાનની શોભા યાત્રામાં ત્રણ ત્રણ વખત પત્થરમારોની ઘટના બની છે. પાંજરીગર મહોલ્લા બાદ કુંભારવાડા વિસ્તારમાં પણ બબાલ જોવા મળી રહી છે. અહીં પણ તોફાની તત્વો દ્વારા આડેધડ પત્થરમારો કરી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કુંભાર વાડા વિસ્તારમાં આડેધડ પથરાવથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે. તોફાનીઓ દ્વારા પત્થરો મારી ભગવાન રામની મૂર્તિને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે. એક જ યાત્રા પર સતત બે વખત પત્થરમારો કરાયો છે. જેના કારણે પોલીસ દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવવા ટીયર ગેસના સેલ છોડાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તોફાનીઓ દ્વારા કુંભારવાડાથી લઇ યાકુતપુરા વિસ્તાર બાણમાં લીધો છે. અસંખ્ય વાહનોને પણ નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. પથ્થરમારાની ઘટનામાં પોલીસ કમિશનર શમશેર સિંહનો આબાદ બચાવ થયો છે. ભારે જહેમત બાદ સ્થિતિ પર કાબૂ મેળવાયો છે. હાલ સમગ્ર વિસ્તારમાં અજંપા ભરી સ્થિતિ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શોભા યાત્રા આગળ વધારાઈ છે. ઘટનાની જણ થતાં શહેર ભાજપના આગેવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.



રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રાની બબાલમાં કાંચની બોટલો વાળી પેટ્રોલ બોમ્બ પણ ફેંકાયા હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાને કારણે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ફતેહપુરા ચારરસ્તા પાસે આ પથ્થરમારો થયો છે. વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ ગૃહ વિભાગ એલર્ટ બન્યું છે. 



ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પથ્થરમારાની ઘટના સામે લાલઆંખ કરી છે. આજે રાત્રે 12 વાગ્યા પહેલા તોફાની તત્વોને પકડી પાડવા સૂચના આપી દીધી છે, જ્યારે કમિશનરે પણ શાંતિ જાળવવા અપીલ કરી છે. રાજ્યના તમામ પોલીસ ઉચ્ચ અધિકારીઓ ત્રિનેત્ર પહોંચ્યા છે. રા્જયના પોલીસ વડા પણ ઉપસ્થિત છે. હાલ સીસીટીવી ફુટેજની તપાસ થશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.



આ ઘટનાને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરવાની કોશિશ કરી છે. લોકોની દોડધામ મચી ગઈ હતી. એ સાથે તોફાની ટોળા દ્વારા રોડ ઉપરની લારીઓની પણ તોડફોડ કરવામાં આવી હતી. કોમી ભડકાથી રોડ ઉપરનાં બજારો ટપોટપ બંધ થઇ ગયાં હતાં. જોકે કોમી ભડકો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એ પોલીસકાફલો સ્થળ પર દોડી ગયો હતો અને તેમણે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ફતેપુરા વિસ્તારમાં ભરેલા અગ્નિ જેવી સ્થતી જોવા મળી રહી છે.