ચેતન પટેલ/સુરત :આજે ભાઈબીજનો પવિત્ર તહેવાર છે, ત્યારે દેશભરમાં તેની ઉજવણી કરવામાં આવી છે, જોકે સુરતમાં આજનો દિવસ સ્વામિનારાયણ સંપ્રદાય અને પારસીઓ માટે મહત્વનો છે, કારણ કે આજના દિવસે ભગવાન સ્વામીનારાયણને પહેરેલી પાઘડી લોકોના દર્શન માટે ખુલ્લી મુકવામાં આવે છે. સવારથી જ ભગવા સ્વામીનારાયણના પાઘડીના દર્શન માટે ભક્તોની લાંબી લાઈન લાગી છે. આ પાઘ 196 વર્ષ જૂની છે. આ પાઘડીને ભાઈબીજના દિવસે જ દર્શન માટે મૂકવામાં આવે છે. ગત વર્ષે કોરોનાને કારણે લોકો પાઘના દર્શન કરી શક્યા ન હતા, ત્યારે આ વર્ષે લોકોમાં પાઘના દર્શન કરવા  ઉત્સુકતા જાગી છે. આ વખતે મંડપની જગ્યાએ ઘરમાં જ પાઘડી રાખવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાઘનો ઈતિહાસ, પારસી પરિવાર પાસે સચવાઈ છે
સંવંત 1881માં સુરત આવેલા સ્વામિનારાયણ ભગવાને તે વખતે પારસી કોટવાળ અરદેશરને પોતાની પાઘડી અને શ્રી ફળ આપ્યાં હતાં. જે આજે પણ પારસી પરિવાર પાસે છે. અને જીવની જેમ જતન કરે છે. સાથે જ ભગવાને ખુદ આપેલી પાઘડી હોય દેશ પરદેશથી આવતા શ્રધ્ધાળુઓ આ પાઘને ખરીદવા બ્લેન્ક ચેકની ઓફર પર કરે છે. પરંતુ ભગવાનનું માથું પોતાની પાસે હોવાનું માનતા આ પારસી પરિવાર પ્રેમથી પાઘના દર્શન સૌ કોઈને કરાવે છે.


ભગવાન સ્વામિનારાયણે વિચરણ કરતાં કરતાં સંવંત 1881માં વડોદરા ગયા હતાં. જ્યાં મંદિરમાં ધ્વજારોહણ માટે સુરત અને વડોદરાના ભાવિકોમાં ચડસાચડસીના અંતે વડોદરા વાસીઓને ધ્વાજારોહણનો લાભ મળ્યો હતો. અને ભગવાને કહ્યું કે, હું સુરત આવીશ. થોડા દિવસો ભાગ સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યાં હતાં. અને સુરતમાં થોડા દિવસો રોકાયા બાદ અરદેશર કોટવાળની સેવાથી ખુશ થયેલા ભગવાને સંવંત 1881ના માગશર સુદ ત્રીજે જતા અગાઉ કોટવાળને શ્રીફળ અને પોતાની પાઘ આપી હતી.



સ્વામિનારાયણ ભગવાને અરદેશર કોટવાળને પાઘ આપી હતી. જે તેમના દીકરા જહાંગીરશાહ પાસે ગઈ. પરંતુ તેમનું સંતાન થયા વગરે તેમનું નાની ઉંમરે અવસાન થતાં તેમના પત્ની ડોશીબાઈ કોટવાળ પાસેથી પાઘ તેમના મોસાળ સોરાબજી એડલજી વાડિયા પાસે ગઈ હતી. અને ત્યાંથી રૂસ્તમજી તેમના હાલ હયાત દીકરા તહેમસ્પ અને તેમના દીકરા કેરશાસ્પ પાસે આજે હયાત છે.


સૈયદપુરા વિસ્તારમાં રહેતા વાડિયા પરિવારે પાઘ માટે અલાયદો રૂમ બનાવ્યો છે. જેમાં લાકડાની પેટીમાં પાઘને નુકસાન ન પહોંચે તે રીતે લાકડાની પેટીમાં પાઘને સાચવી રાખી છે. અને દર વર્ષે ભાઈબીજના દિવસે પાઘના દર્શન કરાવે છે. સાથે પોતે પણ રોજ સવારે પાઘની પૂજા કરે છે. પારસી પરિવારના સભ્યો શ્રીજી ભગવાનની પાઘને તેમનું માથું હોય તે રીતે જતન કરે છે. અને શ્રીજીની કંઠી બાંધવાની સાથે પારસી ધર્મની જનોઈ પણ ધારણ કરે છે.


પારસી કેરશાસ્પજી પાસે ભગવાનની અમુલ્ય ભેટ સમી આ પાઘ માટે અમુક વિદેશથી આવતાં ભાવિકો બ્લેન્ક ચેકમાં લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરે ત્યારે તેઓ પ્રેમથી ના કહી દે છે. આશરે બે સદીથી પાઘને સાચવતું પારસી પરિવાર નેતરના કરંડીયામાં પાઘ રાખતાં હતાં. અને લોકોને દર્શન કરાવતાં હતાં. પરંતુ ઘણા વર્ષોથી તેઓએ પાઘ માટે ખાસ લાકડાની એક પેટી બનાવી છે. જેમાં પાઘના દર્શન થઈ શકે તે માટે કાચ લગાવ્યા છે.


સાથે તેમણે જણાવ્યું કે, પાઘને ભલે બે સદી જેટલો સમય થવા આવ્યો છતાં પાઘનું કપડું હજું એટલું પણ જીર્ણ નથી થયું. પાઘને નુકસાન ન પહોંચે તે માટે કંકુના ચાંદલાથી લઈને ફૂલના હાર ચઢાવવા દેવામાં નથી, વર્ષો જૂની પાઘના કપડાને કોઈ રીતે નુકસાન ન પહોંચે તે માટે દર્શન કરવા દેવામાં આવતું નથી. સાથે જ નિયમિત રૂપે લાકડાની પેટીમાં રહેલી પાઘને બહાર કાઢીને સાફ સફાઈ કરવામાં આવે છે.  તો કપુર સહિતની લવિંગ વગેરે વસ્તુઓથી પાઘને સાચવવામાં આવે છે.