ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત સરકાર ગાંધીનગર સ્થિત સચિવાલયથી ચાલે છે એ સૌ કોઈ જાણે છે. પણ બહુ ઓછા લોકોને ખબર હશે કે છેલ્લાં ત્રણ દિવસમાં એ સચિવાલયમાં ભારે ફેરફારો થઈ ગઈ છે. ગુજરાત સરકાર જે સનદી અધિકારીઓના બળથી ચાલે છે એમાં છેલ્લાં ત્રણ દિવસમાં ભારે ઊથલપાથલ જોવા મળી છે. સામાન્ય માણસોને લાગતું હોય છેકે, બધુ મંત્રીઓ જ કરતા હોય છે. પરંતુ એવું નથી હોતું, સરકારના વિવિધ વિભાગોના બુરોક્રેટ્સ એટલેકે, આઈએસ અધિકારીઓ જેમને સચિવ કક્ષાનો હોદ્દો સોંપવામાં આવ્યો હોય છે. તે અધિકારીઓનો સરકારના કોઈપણ નિર્ણયમાં મોટો રોલ હોય છે. આ તમામની ઉપર હોય છે રાજ્યના મુખ્ય સચિવ. જોકે, એકાએક એવું તો શું બન્યુ કે રાજ્યના મુખ્ય સચિવની ક્ષમતાઓને અચાનક મર્યાદિત કરી દેવામાં આવી? આ સવાલ એટલા માટે છે કારણકે, કંઈક એને અનુરૂપ ઘટનાઓ છેલ્લાં ત્રણ દિવસમાં બની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓછામાં ઓછું છેલ્લાં 25થી 30 વર્ષના ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી કે રાજ્યના મુખ્ય સચિવ પાસે રહેલા આવા મજબૂત પોર્ટફોલિયો કોઇનિવૃત્ત અધિકારીને સોંપાઇ જાય. મુખ્ય સચિવ જેવા મહત્ત્વના હોદ્દાની મહત્તા સાવ ઘટાડીને તેને મામૂલી કરી નાંખવા સમાન કે વર્તમાન મુખ્ય સચિવ રાજ કુમારની પાંખો કાપવા જેવી આ ઘટના છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાતના મુખ્યમંત્રીના સલાહકાર અને નિવૃત્ત સનદી અધિકારીઓ હસમુખ અઢિયા અને એસ.એસ. રાઠૌરને સતત ત્રીજા દિવસે સરકારે મોટા શિરપાવરૂપ જવાબદારી આપી છે. અઢિયાને ગિફ્ટ સિટીના જ્યારે રાઠૌરને સુરતના ડ્રીમ સિટીના અધ્યક્ષ બનાવતો નિર્ણય મુખ્યમંત્રી કક્ષાએથી લેવાયો છે. આ બંને અધિકારીઓના હાથ હવે સરકારમાં ખૂબ મજબૂત થયા હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે.


છેલ્લાં ત્રણ દિવસમાં થયેલા ફેરફાર જોઈએ તો સોમવારે રાઠોરને સરકારે ગુજરાત મેરિટાઇમ બોર્ડના અધ્યક્ષ બનાવ્યો. તે પછી મંગળવારે હસમુખ અઢિયાને જીએમડીસી અને ગુજરાત આલ્કલીઝના અધ્યક્ષ બનાવ્યા અને હવે ગિફ્ટ સિટી અને ડ્રીમ સિટીના ચેરમેન તરીકેનો હવાલો પણ સોંપાયો છે. ગુજરાત સરકારના પરખમ નફો રળતાં અને ભવિષ્યમાં રાજ્યના અર્થતંત્રની કાયાપલટ કરનારા આ એકમોના અધિપતિ તરીકે આ બંને નિવૃત્ત સનદી અધિકારીઓને બનાવવાથી ગુજરાતની અમલદારશાહીમાં પણ આંચકારૂપા આશ્ચર્ય ફેલાયું છે.


રાજકીય વર્તુળોમાં એવું પણ ચર્ચાય છેકે, લોકસભાની ચૂંટણીમાં આ બંને અધિકારી ફાયદો કરાવી શકે કારણ કે તેમને જે જાહેર સાહસોની જવાબદારી સોંપાઇ છે. તે સીધી રીતે જ ઉદ્યોગજગત સાથે સંકળાયેલી છે. ઉલ્લેખનીય છેકે, આ પહેલાં પણ બુધવારે ગુજરાત સરકારે 7 આઈએએસ અધિકારીઓની બદલી કરી નાંખી હતી. જેમાં મનોજકુમાર દાસને મહેસૂલ અને અશ્વનીકુમારને શહેરી વિકાસ જેવા મહત્ત્વના વિભાગો સોંપવામાં આવ્યાં છે. દાસ પાસે અગાઉનો પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગનો હવાલો પણ યથાવત રખાયો છે. દિલ્હી નિવાસી આયુક્ત તરીકે કામ કરતા આઈએએસ આરતી કંવરને પરત ગુજરાત બોલાવીને તેમને નાણાં વિભાગમાં આર્થિંક બાબતોના સચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી.