Loksabha Election 2024: ક્ષત્રિયો હવે પાટીદારવાળી કરી રહ્યાં છે. આ સ્થિતિમાં સરકાર અને ભાજપનું સંગઠન ટેન્શનમાં છે. કારણકે, લોકસભાની ચૂંટણીને ન ભૂતો ન ભવિષ્યતિ...કક્ષાના રેકોર્ડ માર્જિન સાથે તમામ લોકસભા બેઠકો જીતીને નરેન્દ્ર મોદીને અર્પણ કરવાનો ગુજરાત ભાજપના મોવડી મંડળે દાવો કર્યો છે. હવે જો આ ક્ષત્રિય આંદોલનને કારણે સહેજ પણ કાચુ કપાય અને આ મોટો દાવો પુરો ના થાય, ક્યાંક ભૂલે ચૂકે પણ ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં ગાબડુ પડે તો ભાજપ હાઈકમાન્ડ તેને સાંખી નહીં લે. અલબત્ત એવું થાય એવો વિચાર પણ એમને મંજૂર નથી. એજ કારણ છેકે, હાલ ગુજરાત ભાજપની આખી ટીમ ક્ષત્રિય આંદોલનને કારણે ચિંતામાં ઘેરાયેલી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ઉલ્લેખનીય છેકે, કેન્દ્રીય મંત્રી પુરષોતમ રુપાલાએ ટિપ્પણી કરતાં ક્ષત્રિયો રોષે ભરાયા છે. રવિવારે રાજકોટમાં ક્ષત્રિય સંમેલનમાં જનસેલાબ ઉમટતા સરકાર વિચારમાં મૂકાઇ છે. એટલુ જ નહીં, કમલમના ઘેરાવનો ફિયાસ્કો થયો હતો જયારે રાજકોટમાં સંમેલનમાં લાખોની જનમેદની ક્યાંથી ઉમટી પડી એ સવાલ ભાજપને સતવી રહ્યો છે. આ મામલે ભાજપ મોવડીમંડળ અને સરકારે માહિતી મેળવી રહ્યું છે.



ક્ષત્રિયોના આંદોલન પર સરકાર અને સંગઠનની ચાંપતીનજરઃ
રાજકોટના ક્ષત્રિય સંમેલન પર સરકાર જ નહીં પણ ભાજપના મોવડ઼ી  મંડળે પણ ચાંપતી નજર રાખી હતી. સંમેલનમાં કાઠી, ગુર્જર, કારડિયા સહિત અન્ય ક્ષત્રિયો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. રૂપાલાની ટિકિટ રદ કરોની માગ સાથે એકમંચ પર હાજર રહી ક્ષત્રિયોએ શક્તિ પ્રદર્શન કરતાં ભાજપની ચિંતામાં વધારો થયો છે. કારણકે, ક્ષત્રિયોનું આ આંદોલન હવે રીતસર પાટીદાર આંદોલનવાળી પેટર્ન પર જઈ રહ્યું છે. જે એજ પેટર્ન પર એજ તીવ્રતાથી આંદોલન આગળ વધે તો ભાજપને તકલીફ પડી શકે છે. તેથી જ ભાજપ અલગ અલગ સ્તર પર આ આંદોલન અંગે રજેરજની માહિતી એકત્રિત કરી રહ્યું છે. એનાથી લોકસભા ચૂંટણીમાં શું અસર થઈ શકે એનું એનાલિસિસ પણ કરવામાં આવી રહ્યું છે.


 



'કમલમ્'માં ફિયાસ્કો થયો તો ક્ષત્રિય, સંમેલનમાં જનસૈલાબ કેવી રીતે ઉમટયો?
ભાજપ હાઈકમાન્ડ જ નહીં પણ સરકાર પણ વિચારમાં પડી ગઈ છેકે, કમલમના ઘેરાવ મુદ્દે ક્ષત્રિયો બે ફાડચામાં વેહેચાયા હતા. જ્યારે રાજકોટમાં લાખોની સંખ્યામાં લોકો કઈ રીતે એકઠાં થઈ ગયાં. સરકારને એનો પણ અંદાજો છેકે, આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બની શકે છે. જેથી સરકારે આઈબી પાસેથી વિગતો માંગી છે. સાથે જ ભાજપના મોવડી મંડળે સ્થાનિક નેતાઓ પાસેથી માહિતી મેળવવાનું શરૂ કર્યું છે. 


રૂપાલાની ટિકિટ નહીં કપાય તો ક્ષત્રિયોનો આગળ શું છે પ્લાન?
ક્ષત્રિયોએ પણ પાટીદાર પેટર્ન પર રૂપાલા સામે આંદોલન છેડ્યુ છે. અનામત આંદોલન વખતે જેમ પાટીદારો રસ્તા પર ઉતરી પડયા હતાં તેમ જ હવે ક્ષત્રિયો પણ એકજૂથ થઈ રહ્યાં છે. રાજકોટમાં આયોજીત સંમેલનમાં ક્ષત્રિય નેતાઓથી માંડીને કાર્યકરોએ સુવ્યવસ્થિત રીતે કર્યુ. સભા સ્થળે પણ આખુય મેનેજમેન્ટ ક્ષત્રિય કાર્યકરોએ સંભાળ્યુ હતું. તે વખતે પાટીદાર આંદોલનની સ્પષ્ટ ઝલક જોવા મળી હતી. ક્ષત્રિયોએ ભાજપને ૧૯મી સુધી અલ્ટીમેટમ આપ્યુ છે. જો રૂપાલાની ટિકિટ નહી કપાય તો અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ પર ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાય તેવી સંભાવના છે.