રાજકોટ: લોકતંત્ર બચાવોના નારા સાથે આજે દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ધરણાં અને ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ ભાજપના નેતાઓ દ્વારા ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત અનેક જગ્યાએ ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે રાજકોટમાં ઢેબર ચોક ખાતે ભાજપ દ્વારા સવારે 10 કલાકથી સાંજે પાંચ કલાક સુધી ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ રાજકોટમાં ભાજપ દ્વારા આ ઉપવાસ-ધરણાં કાર્યક્રમને વીઆઈપી બનાવી દેવામાં આવ્યો છે. મંડપમાં ચાલી રહેલા ઉપવાસમાં હવા ખાવા માટે 8 કુલર મંગાવવામાં આવ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત છે કે એકતરફ રાજ્યમાં પાણીની તંગી છે ત્યારે ભાજપના નેતાઓએ આ ઉપવાસ સમારોહમાં કુલરમાં પાણી માટે એક ટેન્કર પાણી મંગાવ્યું છે. અહીં સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલી બહેન પણ આ ઉપવાસમાં જોડાયા છે. 


મહત્વનું છે કે રાજકોટમાં દર વર્ષે ઉનાળા દરમિયાન પાણીની તંગી જોવા મળે છે. અહીં મનપા દ્વારા પણ વારંવાર પાણી પાણી કાપ મુકવામાં આવે છે. ત્યારે ભાજપ દ્વારા આ વીઆરપી ધરણા કાર્યક્રમ આપવામાં આવ્યો છે. કુલરમાં પાણી વાપરવા માટે પાણીનું ટેન્કર પણ મંગાવવામાં આવ્યું છે. ત્યારે આ ધરણાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.