ઉના : દિવથી મહુવા પરત ફરી રહેલા 7 મિત્રોની કાર ઉનાના વ્યાજપુર રોડ પર આવેલી હોટલ નજીક વીજળીના થાંભલા સાથે ધડાકાભેર અથડાતા 2 લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે પાંચને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોની સારવાર માટે ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં બેની હાલત ગંભીર જણાવતા વધારે સારવાર માટે મહુવા ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે વ્યાજપુર ખાતેના હાઇવે પર ટ્રાફીક જામ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર મહુવા રહેતા મેહુલ આહીર, જીતુ સોલંકી, રાહુલ ભીલ, અમૃત ચૌહાણ, હિમાંશુ ત્રિવેદી, ચિરાગ પરમાર, મહેશ મકવાણા સહિતના મિત્રો દીવ ફરવા માટે ગયા હતા. દીવથી મહુવા પરત ફરી રહેલા મિત્રોની ગાડીનું ઉના- ભાવનગર કોસ્ટલ હાઇવે પર વ્યાજપુર ખાતે અકસ્માત નડ્યો હતો. વિજળીના થાંભલા સાથે ધડાકાભેર અથડાઇને  પલ્ટી મારી ગયેલી કારનો ખુડદો બોલી ગયો હતો. 


જો કે અકસ્માક એટલો ભયંકર હતો કે કારમાં બેઠેલા સાતેય મિત્રો ગાડીમાં ફસાઇ ગયા હતા. કારમાંથી તેમને કાઢવામાં પોલીસ અને સ્થાનિક લોકોએ મહામુસિબતે તમામને બહાર કાઢ્યા હતા. અકસ્માતે મૃત્યુ પામનાર બે યુવાનો પૈકી એકનું શરીર દરવાજામાં ફસાઇ ગયું હતું. જેના કારણે તેનું માથુ ધડથી અલગ જ થઇ ગયું હતું. 


આ ઘટનામાં ચિરાગ પરમાર અને મહેશ મકવાણાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્યોને ગંભીર ઇજા પહોંચી હતી. જેમને ઉનાની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે પ્રાથમિક સારવાર બાદ તેમને વધારે સારવાર માટે મહુવા ખાતે રિફર કરવામાં આવ્યા હતા.