• ગુજરાતમાં ચણા ખરીદીની મર્યાદામાં વધારો કરવા કેન્દ્ર સરકારની લીલી ઝંડી

  • રાજ્ય સરકાર લઘુતમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી 125 મણ ચણાની ખરીદી કરશે 

  • રાજ્યના ખેડૂતોની માંગણી અને રજૂઆતો બાદ મહત્વનો નિર્ણય લેવાયો 


જ્યેન્દ્ર ભોઈ/પંચમહાલ :રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડાની ખરીદી શરૂ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં ચણા ખરીદીની મર્યાદામાં વધારો કરવા કેન્દ્ર સરકારે લીલી ઝંડી આપી છે. કેન્દ્રમાંથી ચણા ખરીદીની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ છે કે, ચાલુ વર્ષે રવિ સિઝનમાં ચણાનું વધુ વાવેતર થવાથી ઉત્પાદન વધવાની સંભાવનાને ધ્યાને લઈને અગાઉથી જ સજાગતા દાખવતા રાજ્ય સરકારે ખેડૂતોને ચણાના પોષણક્ષમ ભાવો અપાવવા કટિબદ્ધતા દાખવીને ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી 125 મણ ચણાની ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. 


રાજ્યના કૃષિ મંત્રીએ રૂબરૂ દિલ્હી જઈ રાજ્યમા થયેલ ચણાના મબલખ પાકની ઉત્પાદકતાને ધ્યાને લઈને ખેડૂતોની લાગણી કેન્દ્ર સરકાર સુધી પહોચાડી હતી. તેમજ નરેન્દ્રસિંઘ તોમરના સંપર્કમાં રહી ચણાનો વધુમાં વધુ જથ્થો લઘુતમ ટેકાના ભાવથી ખરીદાય તે માટે સઘન પ્રયત્નો કર્યા હતા. કેન્દ્ર સરકારને ગુજરાતના ખેડૂતો પાસેથી વધુમાં વધુ ચણાનો જથ્થો ખરીદાય તે માટે પ્રયત્ન કરાયા હતા. જેના પરિણામે કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે ચાર લાખ પાસઠ હજાર મેટ્રિક ટન ચણાનો જથ્થો ગુજરાત રાજ્યના ખેડૂતો પાસેથી ખરીદવા મંજુરી આપી છે. 


આ પણ વાંચો : ગુજરાતના અચ્છે દિન ગયા... સિંગતેલ-કપાસિયા તેલના ભાવ ફરી વધ્યા


તેમણે ઉમેર્યુ કે, ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાંથી ખરીદવાના થતા 4 લાખ 65 હજાર મેટ્રિક ટન ચણાના જથ્થાને કારણે રાજ્ય સરકારે ખેડૂત પાસેથી ધારણ કરેલ જમીનની મર્યાદામાં વીઘે બાર મણ લેખે ૧૨૫ મણ ચણા ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ ખરીદી કેન્દ્રની નોડલ એજન્સી નાફેડ વતી ગુજરાત સ્ટેટ કો.ઓપ.માર્કેટિંગ ફેડરેશન (ગુજકોમાસોલ) દ્વારા ૧૮૭ કેન્દ્રો પર ચણાની ખરીદી કરવામાં આવનાર છે. 


રાજ્ય સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે. ઉલ્લેખનીય છે કે, ગુજકોમાસોલ ગાંધીનગર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં તુવેર ખરીફ - 21 પાકના 6300 રૂપિયા, ચણા રવિ - 22 પાકના 5230 રૂપિયા અને રાયડા રવિ - 22 પાકના 5050 રૂપિયા કવીન્ટલના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. એક ખેડૂત પાસેથી દરરોજ વધુમાં વધુ 2500 કિલો જણસીની ખરીદી કરવામાં આવે છે. જો કોઈ ખેડૂત પાસે વધારે માલ હોય તો બીજે દિવસે તે લઈને આવી શકે છે. ટેકાના ભાવે જણસીની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી. સેન્ટ્રલ નોડલ એજન્સી નાફેડ વતી રાજ્ય નોડલ એજન્સી તરીકે ગુજકોમાસોલ દ્વારા ખરીદી કરાઈ રહી છે.