ઉદય રંજન/અમદાવાદઃ છારાનગરમાં પોલીસ પર થયેલા હુમલા બાદ પોલીસે કરેલા દમનનો મામલો હાલ ચર્ચામાં છે. આ મામલે ન્યાય મેળવવા માટે છારા નગરના લોકોએ મૌન રેલી અને પોલીસ દમનના વિરોધમાં બેસણું યોજ્યું હતું. ત્યારબાદ પોલીસ કમિશનરે આ મામલે ગંભીર નોંધ લીધી છે. આ ઘટના બાદ બંન્ને તરફથી સામ-સામી ફરિયાદ કરવામાં આવી હતી. તો આ અંગે પોલીસ કમિશનર એકે. સિંઘે નિર્ણય લેતા પોલીસ દ્વારા કરવામાં આવેલી ફરિયાદની તપાસ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ને સોંપવાનો નિર્ણય કર્યો છે. એસઓજીના એસીપી બલદેવસિંહ સોલંકી આ કેસની તપાસ કરશે. તેમને આદેશ મળ્યા બાદ બલદેવસિંહે છારાનગરની મુલાકાત લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજીતરફ છારાનગરના લોકોએ પોલીસ પર કરેલા કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ક્રાઇમબ્રાન્ચના ડીસીપી દિપન ભદ્રન આ કેસની તપાસ કરશે. 


મહત્વનું છે કે ગત ગુરૂવારે છારાનગર વિસ્તારમાં પોલીસ દારૂ મામલે રેડ કરવા ગઈ હતી ત્યારે પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થયું હતું. બાદમાં આ વાતનો ખાર રાખીને પોલીસે છારાનગર વિસ્તારમાં મનફાવે તેમ વાહનોમાં તોડફોડ કરી હતી જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. રવિવારે લોકોએ વિરોધ નોંધાવવા રેલી પણ યોજી હતી. આ મામલે બન્ને તરફથી ફરિયાદ નોંધાઈ છે.