ઝી બ્યૂરો, અમદાવાદઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં "શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ"નો પ્રારંભ થયો છે.  મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે "શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ"ના પ્રારંભ પ્રસંગે જણાવ્યુ હતુ કે, આ પાવન અવસરે સહભાગી થવાનો મને અવસર મળતા હું સદભાગી થયો છું. આ અવસરે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, વ્યસન મુક્તિ, સદાચારી અને પ્રમાણિકતાનું નિર્માણ કરવામાં સ્વામિનારાયણ સંપ્રદાયનું યોગદાન રહ્યું છે. એટલુ જ નહીં સંતોની વાણીથી સમાજને એક નવી દિશા મળતી થઈ છે અને કલા અને સંસ્કૃતિનો પોષક સંત સમાજ હર હંમેશથી રહ્યો છે. રાજ્યની વિકાસાત્રાને આગળ વધારવા માટે ધર્મ સંતોનું હરહંમેશ માર્ગદર્શન મળતું રહ્યું છે. સાથે જ તેમણે પીએમ મોદીને પણ આ પ્રસંગે વિશેષરૂપથી યાદ કર્યા હતાં. આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમજ મોટી સંખ્યામાં સંતો એને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CM ભુપેન્દ્ર પટેલે કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ સ્વ સંસ્કૃતિ અને સમભાવને સૌથી વધુ મહત્વ આપ્યું છે. નરેન્દ્રભાઈ મોદીએ આપણી સંસ્કૃતિ વીરાસતને જાળવી રાખીને દેશ અને રાજ્યનો વિકાસ કર્યો છે, એ જ પરંપરા જાળવી રાખીને હું અને મારી ટીમ ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ વધારી રહ્યા છીએ. દરેક ધર્મોને સાથે લઈને ગુજરાતની આ ડબલ એન્જિન સરકાર સૌ કાર્યોને ઝડપથી પૂર્ણ કરી રહી છે એમ મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.


મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનાકાળમાં પણ આપણે સૌને સાથે રહીને સેવાકિય કર્યો કરીને જરૂરિયાત મંદો માટે મદદરૂપ બન્યા હતા. નરેન્દ્રભાઇ મોદીએ આપેલા સૂત્ર 'સૌ સુખી તો આપણે સુખી' ચરિતાર્થ કરીને 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ'ના સૂત્રને પણ સાકાર કર્યું છે. આ અવસરે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીએ કહ્યું કે, વર્તમાન સમયમાં ધર્મ અને સત્તાએ સાથે મળીને કામ કરતું રહેવાનું છે. અમે ધર્મક્ષેત્રથી અને રાજ્ય સરકાર રાજ્ય ક્ષેત્રથી સાથે કામ કરીને દેશ અને રાજ્યના વિકાસના યોગદાન આપતું રહે એમ તેમણે ઉમેર્યું હતું. તાત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન અને આગેવાનીમાં ગુજરાત સતત આગળ વધતું રહ્યું છે. ગુજરાત શાંતિ પ્રિય છે અને આપણું ગુજરાત દિન પ્રતિદિન વિકસતું રહે એમ સ્વામીજીએ જણાવ્યું હતું.


ઉલ્લેખનીય છે કે, મણિનગર ગાદી સંસ્થાનમાં તા. 19 થી તા. 25 સપ્ટેમ્બર દરમિયાન શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ યોજાશે. આ મહોત્સવમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદથી વિશ્વ પ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડ - લંડન, બોલ્ટન, કેન્યા, અમેરિકા તથા ભારતની ઉપસ્થિતિ નગરયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ મહોત્સવમાં  વ્યસનમુક્તિ શિબિર, પર્યાવરણ રક્ષણ શિબિર, સંત - વિદ્વત્સંમેલન, સંસ્કાર શિક્ષણ શિબિર વગેરે જેવા કાર્યક્રમો પણ યોજાશે.