નવી દિલ્હીઃ રવિવારે (17 જૂન) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ચોથી ગવર્નીંગ કાઉન્સીલની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં દરેક રાજ્યોના મુખ્યપ્રધાનો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત સરકારની સિદ્ધિઓ ગણાવી હતી. સીએમે કહ્યું કે, છેલ્લા દોઢ દાયકામાં ગુજરાતના કૃષિ વિકાસ દર ડબલ ડિઝિટ વૃદ્ધિ થઇ છે. રાજ્યના ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપીને તેમની જમીનની ગુણવતાની જાણકારી વ્યાપક રૂપે અપાઈ છે એટલું જ નહીં માઈક્રો ઇરીગેશન માટે સબ સિડી પણ સરકાર આપે છે. રાજ્ય સરકારે તાજેતરમાં હાથ ધરેલા સુજલામ સુફલામ જળ અભિયાનની સફળતા વર્ણવતા મુખ્યપ્રધાને કહ્યું કે, 12000 લાખ ઘન ફૂટ જળ સંગ્રહ ક્ષમતા આના કારણે વધશે અને 32 નદીઓ પુનર્જીવિત થઇ છે. 



સીએમે જણાવ્યું કે, રાજ્ય સરકારની જીએસએફસી અને જીએનએફસી જેવી ફર્ટિલાઇઝર ઉત્પાદક કંપનીઓ ખેડૂતોને ખાતરનો યોગ્ય ઉપયોગ કરવા માટે જે માર્ગદર્શન આપી રહી છે તેને પરિણામે ઓછા ખાતર  ઉપયોગથી મહત્તમ ખેત ઉત્પાદન મેળવી શકાયું છે.  વિજયભાઈએ ગુજરાત ઈ-વેબીલ જનરેશનમાં દેશભરમાં ટોપ પર છે તેનું ગૌરવ કરતા કહ્યું કે રાજ્ય માં 4.25 લાખ વધારાના કર દાતાઓ જી.એસ ટી હેઠળ નોંધાયા છે. રાષ્ટપિતા મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ જ્યંતિ ગુજરાત તેમના માતૃ રાજ્ય તરીકે ભવ્ય રીતે મોટા પાયે ઉજવશે એમ પણ મુખ્યપ્રધાને જણાવ્યું હતું.