તેજશ મોદી/સુરત :ગુજરાતમાં ગુનાખોરીનો પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. દિનદહાડે હત્યા, ચોરી, અકસ્માત, લૂંટ, બળાત્કાર, બાળકોની તસ્કરી વગેરે જેવી ઘટનાઓ કૂદકેને ભૂસકે વધી રહી છે. સબસલામતના બણગા ફૂંકતી રાજ્ય સરકારની આંખ ઉઘડે તેવો કિસ્સો બન્યો છે. નવસારીથી સુરત ટ્રેનના જઈ રહેલી યુવતીના મોબાઈલની ચોરી થતા સમયે અકસ્માત બન્યો હતો, અને યુવતી ટ્રેનમાંથી નીચે પટકાઈ. જેથી તેનો પગ કાપવો પડ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ નવસારી 19 વર્ષીય દિવ્યા દાફડા સુરત તેની બહેનના ઘરે જવા નીકળી હતી. તે તેની માતા સાથે ટ્રેનમાં નવસારીથી સુરત જવા નીકળી હતી, ત્યારે ઉઘના પાસે તેની સાથે આ ઘટના બની હતી. ચાલુ ટ્રેનમાં મોબાઈલ ચોરે તેનો મોબાઈલ ઝૂંટવી લેવા માટે તેને લાકડી મારી હતી, જેને કારણે તે ટ્રેનમાં પડી ગઈ હતી. આ ઘટનામાં દિવ્યાનો ડાબો પગ કાપવો પડ્યો છે. હાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. 


આ બાબતે દિવ્યાએ કહ્યું કે, હું સુરત પહોંચવાની હતી, તેથી મેં મારી બહેનને કોલ કર્યો, નેટર્વક આવતુ ન હતું, તેથી હું દરવાજા પાસે ગઈ. તો અચાનક જ કોઈએ, મારો ફોન ખેંચ્યો, મારો હાથ ખેંચાયો એટલે હું નીચે પડી ગઈ. આ સમગ્ર ઘટનામાં એક યુવતીની જિંદગી વિખેરાઈ ગઈ. જે યુવતી હોંશેહોંશે પગ માંડતી હતી, તેને હવે ચાલવા માટે કાખઘોડીના સહારો લેવો પડશે. 


ઉલ્લેખનીય છે કે, રેલવેની સવારીને સુરક્ષિત મુસાફરી ગણવામાં આવે છે. પરંતુ સુરત અને ઉધના વચ્ચે છેલ્લા કેટલાય સમયથી આ ઘટનાઓ બની રહી છે, જેમાં કેટલાક મોબાઈલ ચોરો ચાલુ ટ્રેનમાં મુસાફરોના મોબાઈલ ચોરવાનો પ્રયાસ કરે છે. આવી ઘટનામાં એકાદ-બે મુસાફરોના મોત પણ થયા છે, તો કેટલાક ઘાયલ થયા છે. 


એક મોબાઈલ માટે જે કૃત્ય આચરવામાં આવ્યું છે, તેને કારણે એક યુવતીએ પોતાનો પગ ગુમાવ્યો છે. આ મામલે સૌથી મોટો સવાલ પોલીસ પ્રશાસન સામે છે. જે મોબાઈલ ચોરોનો ટ્રેનમાં આતંક હોવા છતાં કોઈ પગલા લઈ શક્યુ નથી. રેલવે પોલીસ, જીઆરપીએફ પણ મુસાફરોને સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ નીવડ્યું છે. જો આ મામલે કોઈ પગલા નહિ લેવામાં આવે, તો આગામી દિવસોમાં વધુ લોકો મોબાઈલ ચોરોના આતંકનો ભોગ બની શકે છે. 


એવરેસ્ટ સર કરનારી અરુણિમા સિંહા સાથે પણ આવું જ બન્યું હતું
માઉન્ટ એવરેસ્ટ સર કરનારા અરુણિમા સિંહા સાથે પણ આવી જ ઘટના બની હતી. ઉત્તર પ્રદેશના આંબેડકરનગરમાં 1988માં જન્મેલાં અરુણિમા સિંહા રાષ્ટ્રિય કક્ષાની ફૂટબૉલ અને વૉલિબૉલનાં ખેલાડી હતી. 11 એપ્રિલ, 2011ના રોજ તે સીઆઈએસએફની પરીક્ષા આપવા માટે લખનૌથી દિલ્હી જઈ રહી હતી, ત્યારે ટ્રેનમાં લૂંટારુઓએ તેમનો સામાન અને ગળામાં રહેલી એક સોનાની ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યા હતો. લૂંટારુઓનો સામનો કરતાં અને બાથ ભીડતાં લૂંટારુઓએ તેમને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી હતી. તે પાટા પર પડી હતી અને સામેથી આવતી ટ્રેનમાં તેમનો પગ આવી જતાં તેમને પગ ગુમાવવાનો વારો આવ્યો હતો. જોકે, આ બાદ અરુણિમા સિંહા હિંમત હારી ન હતી, અને આજે તે સફળ પર્વતારોહી બની ચૂકી છે.