કચ્છઃ કચ્છનાં મુંદ્રા નજીક આવેલા છસરા ગામે જૂની અદાવતમાં થયેલી જૂથ અથડામણમાં 6 લોકોની હત્યા થઈ છે. કચ્છનાં ઈતિહાસની આ સૌથી મોટી જૂથ અથડામણની ઘટના મનાઈ રહી છે. નાના એવા ગામમાં ખૂની ખેલ ખેલાતા હાહાકાર મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ IG ધર્મેન્દ્ર વાઘેલા પોતાના કાફલા સાથે ગામમાં પહોંચી ગયા હતા. તો ભુજનાં SP ભરાડા પણ ગામમાં પોતાની ટીમ સાથે પહોંચી ગયા હતા. ઘટનાને નજરે જોનારા લોકોનું માનીએ તો તિક્ષ્ણ હથિયારોથી બન્ને જૂથોનાં લોકોએ એકબીજા પર હુમલા કર્યા હતા. જૂથ અથડામણમાં 6નાં મોતના પગલે બીજી કોઈ ઘટના ન ઘટે એટલાં માટે પોલીસે ગામમાં અને ગામની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. સાથે જ છસરા ગામને પોલીસ છાવણીમાં પણ ફેરવી દેવાયું છે. હાલમાં છસરા ગામમાં સ્થિતિ થાળે પડી ગઈ છે. પણ પોલીસે બન્ને જૂથનાં લોકોને શાંતિ જાળવવાની અપીલ પણ કરી છે.