ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટમાં યુવક પર હુમલો કરવા મામલે જેલમાં બંધ લોક સાહિત્યકાર દેવાયત ખવડે સેશન્સ કોર્ટમાં વચગાળાની જામીન અરજી કરી છે. પરંતુ લોક સાહિત્યકાર દેવાયત ખવડની વચગાળાની જામીન અરજી કોર્ટે રદ્દ કરી નાંખ્યા છે. દેવાયત ખવડના વકીલે રાજકોટ સેસન્સ કોર્ટમાં વચગાળાની અરજી કરી હતી. 25 દિવસ માટેની જામીન સેશન કોર્ટમાં માગવામાં આવ્યા હતા. સરકારી વકીલ અને દેવાયત ખવડના વકીલ દ્વારા સેસન્સ કોર્ટમાં જામીન બાબતે સામસામે દલીલ કરાઈ હતી. શિવરાત્રી અને લગ્નગાળામાં દેવાયત ખવડને કાર્યક્રમો હોવાથી વચગાળાના જામીન માંગ્યા હતા. શિવરાત્રીમાં દેવાયત ખવડ ડાયરાના પ્રોગ્રામ નહિ કરી શકે. દેવાયત ખવડે જેલમાં જ રહેવું પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે, સાહિત્યકાર દેવાયત ખવડે 25 દિવસના વચગાળાના જામીન આપવા અરજી કરી હતી. સેશન્સ કોર્ટમાં દેવાયત ખવડે શિવરાત્રી અને લગ્ન પ્રસંગમાં સ્ટેજ કાર્યક્રમ હોવાથી જામીન આપવા અરજી કરી હતી. કોર્ટે પોલીસ પાસે અભિપ્રાય માંગ્યો હતો. પોલીસ અભિપ્રાય બાદ જામીન અરજી પર સૂનાવણી હાથ ધરવાની હતી, પરંતુ હાલ કોર્ટે રદ્દ કરી નાંખી છે.


મહત્વનું છે કે, મયૂરસિંહ રાણા પર હુમલાના કેસમાં સંડોવાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડે વચગાળાની જામીન અરજી કરી છે. અગાઉ ગુજરાત હાઇકોર્ટે દેવાયત ખવડની રેગ્યુલર જામીન અરજી ફગાવી હતી. મહત્વનું છે કે, હાઈકોર્ટ પહેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડે રાજકોટની સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેને કોર્ટ દ્વારા ફગાવવામાં આવતા દેવાયત ખવડે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. 


દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ કર્યું હતું સરેન્ડર 
રાજકોટમાં દેવાયત ખવડ અને તેના સાથીઓ દ્વારા 7 ડિસેમ્બર 2022ના રોજ મયૂરસિંહ રાણા નામના યુવક પર હુમલો કરાયો હતો. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો હતો. જેમાં 10 દિવસ ફરાર રહ્યા બાદ દેવાયત ખવડે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જે બાદ દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. 19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા. 


જાણો શું હતો સમગ્ર વિવાદ?
દેવાયત ખવડ અનેક વાર અવનવા વિવાદમાં ઘેરાયેલા રહે છે, આ પહેલીવાર નથી બન્યું કે તેઓ વિવાદમાં આવ્યાં છે પરંતુ પહેલા શાબ્દિક પ્રહાર જ કરતા હતા અને અત્યારે ખુલ્લેઆમ દાદાગરી કરતા નજરે ચડ્યા હતા. મયુરસિંહ અને દેવાયત વચ્ચે ઝઘડાની શરૂઆત સોશિયલ મીડિયામાં અપશબ્દો બોલવાથી થઈ હતી. એ બનાવમાં પોલીસે મયુરસિંહ સામે કાર્યવાહી કરી હતી. જોકે આમ છતાં પણ દેવાયત ખવડે પાછળથી આવી હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. 


બિલ્ડર મયુરસિંહ રાણા સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી એક કાર ધસી આવી હતી અને કારમાંથી દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખ્સે મયુરસિંહ પર દેવાયત અને અજાણ્યો શખ્સે ધોકા-પાઇપથી માર માર્યો હતો. આ પછી બધા કારમાં નાસી ગયા હતા.


ફરિયાદી મયુરસિંહ રાણાએ જણાવ્યું હતું કે, આજથી એકાદ વર્ષ પૂર્વે દેવાયત ખવડની બાજુમાં રહેતા મારા મામાને ત્યાં પાર્કિંગ બાબતે માથાકૂટ થઈ હતી. જે બાબતનો ખાર રાખી દેવાયત ખવડ સહિત બે લોકોએ મારા પર હુમલો કર્યો હતો. જ્યારે કે અન્ય એક વ્યક્તિ કાર ચાલક તરીકે મદદગારીમાં હતો. સમગ્ર બનાવ બાદ લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.