ગૌરવ પટેલ, અમદાવાદ : રાજ્યમાં કોરોનાનો આતંક હવે ત્રીજા તબક્કામાં સતત વધવાનો છે એવી ચેતવણીના પગલે AMC હવે રાતોરાત મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ ઓફિસરની ભરતી કરી રહ્યું છે. કોરોના વાઇરસના કેસો રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધી રહ્યા છે.   SVP હોસ્પિટલમાં અને સિવિલમાં હાલ આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. જૂની વીએસ હોસ્પિટલમાં પણ નવા આઇસોલેશન વોર્ડ ઉભા કરવાની તૈયારી કરવામાં આવી છે. આ સંજોગોમાં વધારે મેડિકલ સ્ટાફની જરૂર પડશે અને એટલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

354 મેડિકલ ઓફિસર અને 354 પેરામેડીકલ સ્ટાફની ભરતી પ્રક્રિયા સોમવારથી શરૂ કરવામાં આવશે અને માત્ર ઇન્ટરવ્યૂ પર 11 માસના કરાર આધારિત જગ્યા ભરવા જાહેરાત બહાર પાડવામાં આવી છે. સોમવારે સવારે 10.30 વાગ્યાથી આસ્ટોડિયા ગીતામંદિર રોડ પર આરોગ્ય ભવન ખાતે આ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 


સરકારે આ સિવાય પણ કોરોના સામે લડવા માટે સક્રિય પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત હવે કોરોના વાયરસના સંક્રમણના ત્રીજા તબક્કામાં પ્રવેશી ગયું છે અને દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે ત્યારે સરકારે પણ તકેદારીના એડવાન્સ પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. હાલમાં ગુજરાત યુનિવર્સીટીમાં આવેલી 10 માળની સમરસ હોસ્ટેલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. આ તૈયરીના ભાગરૂપે અહીં હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. 


ટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube