રાજુ રૂપારેલીયા, દ્વારકા: હાલ કોરોના મહામારી સમગ્ર દેશ અને વિદેશમાં ફેલાઈ છે. ત્યારે ભગવાન દ્વારકાધીસ જગત મંદિરના શિખર પર દરરોજ ચડાવવામાં આવતી 5 ધજાનું 2024 સુધી બુકિંગ ફુલ હતું જે આજે કેન્સલ થઈ રહ્યું છે. તો બીજી તરફ ધજા ચડાવવા આવનાર મનોરથી માત્ર બહારથી જગત મંદિર પર ધજાના દર્શન કરી પરત ફરે છે. ત્યારે ધજા ચડાવનાર પરિવારમાંથી બે કે ત્રણ વ્યક્તિઓએ મંદિરમાં દર્શન કરવા જવા દેવાની પણ મનોરથીઓએ માગણી કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભગવાન દ્વારકાધીસના જગત મંદિર પર નૂતન ધજા ચડાવવાનો મનોરથ કોનેના હોય? કહેવાતું હતું કે, જગત મંદિર પર ધજા ચડાવવાનું બુકિંગ 2024 સુધી ફુલ હતું. પરંતુ હાલ કોરોના વાયરસના લીધે બહારથી આવતા મનોરથીઓ પોતાની ધજા ચડાવવાનું બુકિંગ કેન્સલ કરાવી રહ્યાં છે. તેમ છતાં દરરોજ જગત મંદિરના શિખર પર 5 ધજા આજે પણ ચડે છે અને પરંપરા આજે પણ યથાવત ચાલુ છે.


ધજા સમિતિ દ્વારા જે ધજા કેન્સલ થઈ છે. તેમની જગ્યાએ માત્ર 6000 રૂપિયામાં સ્થાનિક ભક્તો પોતાના ઘરે ધજાનું પૂજન કરી ધજા જગત મંદિરના શિખર પર ચડાવી શકે છે. કોરોનાને લઇ કર્ફ્યૂ જાહેર કર્યા બાદ ધજા ચડાવનારની 25 લોકો જ મંદિરમાં જઈ શકે તેવી મર્યાદા નક્કી કરાઈ હતી. બાદમાં 144 કલમ લાગુ કરાતા ધજા ચડાવનાર માત્ર 4 લોકો જ મંદિરમાં જઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી. જો કે, હવે ધજાની ઘરે પૂજા કરી માત્ર એક જ વ્યક્તિ મંદિરમાં જઈ શકે તેવો નિયમ કરાયો છે.


કોરોનાને લઈને જગત મંદિર પર ધજા આરોહણના અનેક બુકિંગ રદ થયા છે. જે બાદ જગત મંદિરમાં પૂજન થયેલી 100 જેટલી ધજા પુજા કરેલી પડી હોય અને તે ચડાવવામાં આવતી હોવાનું દ્વારકા પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું. હાલ દ્વારકા જિલ્લામાં કોરોનાનો કોઈ કેસ પોઝિટીવ ન હોવાથી અને સમગ્ર શહેર લોકડાઉનની સ્થિતિમાં હોય ત્યારે આગામી 20 તારીખ બાદ કોઈ ફેરફરા થવાની શક્યતાઓ લોકોના મુખે સાંભળવા મળી રહી છે.


આજે દ્વારકા જગત મંદિરના શિખર પર ધજા ચડાવવામાં આવે છે પરંતુ ધજાના મનોરથીને મંદિરમાં ભગવાનની ઝાંખી પણ થઈ શકતી નથી. ત્યારે ધજા ચડાવવા આવનાર મનોરથી માત્ર બહારથી જગત મંદિર પર ધજાના દર્શન કરી પરત ફરે છે. ત્યારે ધજા ચડાવનાર પરિવારમાંથી બે કે ત્રણ વ્યક્તિઓએ મંદિરમાં દર્શન કરવા જવા દેવાની પણ મનોરથીઓએ માગણી કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube