હિતલ પારેખ/ગાંધીનગર :ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-5માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકાએ પેટાળને હલબલાવી નાખ્યું છે. મોડી રાત્રે ફરી એકવાર કચ્છની ધરા ધ્રૂજી ઉઠી હતી. કચ્છમાં મોડી રાત્રે 12.30 કલાકે વાગ્યે 2.8 ની તીવ્રતાવાળો ભૂકંપ (earthquake) નો આંચકો અનુભવાયો હતો. રાત્રે 12.30 થી લઈને સવારે 6.00 વાગ્યા સુધી અલગ અલગ તીવ્રતાના 4 આંચકા અનુભવાયા છે. 2.8 અને 1.9 ની તીવ્રતાના આ આંચકા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાર આંચકા અનુભવાયા 
કચ્છના ખાવડા, રાપર, ભચાઉ અને દૂધઈ નજીક આ આંચકા અનુભવાયા છે. રાપરથી 3 કિલોમીટર દૂર અને ખાવડાથી 46 કિલોમીટર દૂર ભૂકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયું હતુ. ભચાઉથી 14 અને દૂધઈથી 15 કિલોમીટર દૂર આ કેન્દ્રબિંદુ હતુ. ત્યારે કચ્છમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. 


આ પણ વાંચો : કોરોનાએ માનસિક બીમારીને કેસ ડબલ કર્યા, બાળકોથી લઈને વૃદ્ધો સૌ કોઈ શિકાર 


ગમે ત્યારે આવશે મોટો ભૂકંપ 
ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપ અને આંચકા આવતા રહે છે. આંચકા અને નાના ભૂકંપ આવતા રહે તે એક રીતે સારી વાત સંશોધકો જણાવે છે. અને મોટા ભૂકંપને પાછો ઠેલાવે છે. જોકે કચ્છમાં એક મોટો ભૂકંપ ગમે ત્યારે આવી શકે છે તેવી ચોંકાવનારી વાત સંશોધનના અંતે બહાર આવી છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર કરેલા અભ્યાસ બાદ આ તારણ બહાર આવ્યું છે. આ ફોલ્ટ લાઇન પર છેલ્લા એક હજાર વર્ષથી કોઇ મોટો ભૂકંપ આવ્યો ન હોવાથી જમીની ઊર્જા વધી રહી છે. જે ગમે ત્યારે રિલીઝ થતાં મોટો ભૂકંપ આવશે. જેમાં કચ્છના અંજાર અને ગાંધીધામની સાથે અમદાવાદમાં પણ ભયંકર નુકસાન થવાનો અંદાજો છે. ફોલ્ટ લાઈન જમીનના પેટાળમાં લખપતથી લઈને ભચાઉ સુધી 180 કિમી જેટલી લાંબી ફોલ્ટ લાઇન આવેલી છે.


જૂનો ફોલ્ટ ફરી સક્રિય થયો 
છેલ્લે કચ્છ લેન્ડ ફોલ્ટ લાઇનમાં 427 વર્ષ પહેલાં મોટો ભૂકંપ અનુભવાયા બાદ ફોલ્ટ સુષપ્ત હતો, પણ ઔદ્યોગિક પ્રવૃત્તિ સહિતનો વ્યાપ વધવા સહિતના લીધે આ ફોલ્ટ પર દબાણ આવતાં આ ફોલ્ટ ફરી એકવાર સક્રિય બન્યો છે. તેના જ લીધે 2001ની 26મી જાન્યુઆરીએ આવેલો કે તેનાથી પણ વધુ શક્તિશાળી ભૂકંપનો આંચકો કચ્છને આગામી વર્ષમાં ધ્રુજાવી શકે છે. 5થી લઇને 7ની તીવ્રતા સુધીના આંચકાથી કચ્છમાં મોટી નુકસાની થશે, પણ તેની વિઘાતક ગણાય તેવી અસર અમદાવાદ તેમજ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વ્યાપકપણે અનુભવાશે. ગૌરવ ચૌહાણે એવું પણ જણાવ્યું કે, હવે એ સમય પાકી ગયો છે કચ્છમાં હવે ભવિષ્યમાં કોઇપણ પ્રકારની વિકાસલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવે તેમાં આ બાબતનો ખ્યાલ રાખવો અનિવાર્ય બની જવા સાથે ભૂસ્તરક્ષેત્રનો અભ્યાસ કરનારા તજજ્ઞો સાથે ચર્ચા-વિમર્શ કરાય તો નુકસાનીનો ગ્રાફ હળવો કરી શકાય તેમ છે.