જમીલ પઠાણ/છોટાઉદેપુર :કોરોના કાળ બાદ સરકારે ઓફ લાઇન શિક્ષણ તો શરૂ કર્યું ,બાળકોના શિક્ષણની સરકારે ચિંતા છે સારી વાત છે. પરંતુ જ્યા શાળાના મકાન જ નથી ત્યાં બાળકો કેવી રીતે ભણશે તેની દરકાર સરકારે ના લીધી. છોટાઉદેપુર જિલ્લામાં ખુલ્લામાં ઓટલા ઉપર ચાલતી શાળાનું ગુજરાત હાઇકોર્ટે જાતે સંજ્ઞાન લઈ છ મહિનામાં શાળાનું મકાન બનાવવા હુકમ કર્યો છે. ત્યારે સરકારના શિક્ષણના દાવાની પોલ ખોલતા વધુ એક પ્રાથમિક શાળાના દ્રશ્યો સામે આવ્યા છે. જનીયારા પ્રાથમિક શાળાનું મકાન જ નથી. ગામના એક સજ્જનના ઘરની અડાળીમાં ધોરણ 1 થી 4 ના વર્ગો ચાલી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દ્રશ્યો કોઈ દાયકાઓ પૂર્વેના ઋષિમુનીઓના જમાનાના નથી. તાજેતરના અને વાઈબ્રન્ટ ગુજરાતના છે, આમ તો સરકાર વન બંધુ કલ્યાણ યોજના અંતર્ગત રાજ્યના વન બંધુઓ પાછળ હજારો કરોડ રૂપિયા ખર્ચ કરી છેવાડાના માનવીના વિકાસના દાવાઓ કરી રહી છે. પરંતુ આજે પણ રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના જનીયારા ગામની પ્રાથમિક શાળાના છે, વર્ષ 2018 થી શરૂ થયેલી આ સરકારી પ્રાથમિક શાળા માટે આજદિન સુધી મકાન બાંધવામાં નથી આવ્યું. 1 થી 4 ધોરણ ના 56 વિદ્યાર્થીઓ માટે ગામના એક સજ્જને પોતાના મકાનની અડાળીમાં બેસાડવા સહમતિ આપી અને શાળાના બાળકોએ શમદાભાઈના ઘરની અડાળીમાં બેસીને અભ્યાસ શરૂ કરાવ્યો છે.


આ પણ વાંચો :  દેવ પગલીના ‘ચાંદવાલા મુખડા’ એ તોડ્યા તમામ રેકોર્ડ, બોલિવુડના બાદશાહને પણ પછાડી દીધા


બાળકોને પોતાના ઘરના ઓટલા ઉપર બેસાડવા સહમતિ આપનાર શમદાભાઈને એમ હતું કે ચાર છ મહિનામાં સરકાર શાળાનું નવું મકાન બનાવી જ દેશે ને ..!! પરંતુ રાજ્યની સંવેદનશીલ સરકાર આ ગામમાં શાળનું મકાન બનાવવાનુ જ ભૂલી ગઈ છે. ભૂલી ગઈ એવું એટલા માટે કહેવું પડે છે કે, શાળા શરૂ થયે ત્રણ ત્રણ વર્ષ વીતવા છતાં હજુ શાળાના બાંધકામની શરૂઆત પણ કરવામાં નથી આવી. ત્યારે ચોમાસામાં ચારે બાજુથી વરસતા વરસાદમાં અને હાલમાં કડકડતી ઠંડીમાં વહેલી સવારે પણ નાના ભૂલકાઓ ખુલ્લામાં બેસી શિક્ષણ મેળવવા મજબૂર છે.



શાળાના શિક્ષક, બાળકો અને તેમના વાલીઓ ઈચ્છી રહ્યાં છે કે તેમના બાળકો માટે વહેલી તકે શાળા બનાવી આપવામાં આવે તો બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે અને શિક્ષકને પણ યોગ્ય રીતે અભ્યાસ કરાવી શકે. કારણ કે નીચે મુકેલા બ્લેક બોર્ડ ઉપર લખવામાં શિક્ષકને પણ અનેક અગવડતાઓ પડી રહી છે, તો બાળકોને પણ બેન્ચ વિના નીચે બેસી અભ્યાસ કરવામાં અગવડતા ભોગવવી પડે છે.


આ પણ વાંચો :  હેડ ક્લાર્ક પેપર લીક કૌભાંડના તાર ખેડા સુધી અડ્યા, સંડોવણીમાં શાળાના આચાર્યનું નામ ખૂલ્યું 


આ વિસ્તારમાં આદિવાસી ગરીબ બાળકો પાસે ગરમ કપડાં પણ નથી કે ઠંડીથી રક્ષણ મેળવી શકે. બીજી બાજુ અડાળીમાં ખુલ્લામાં બેસી ભણવું પડે છે. એક જ જગ્યાએ ચારે ચાર ધોરણના બાળકો કેવી રીતે બેસે અને બબ્બે શિક્ષકો દ્વારા પણ આ બાળકોને કેવી રીતે શિક્ષણ આપી શકાય? 


એટલું જ નહિ, અડાળીમાં બકરા પણ બાંધવામાં આવે છે. ત્યારે વાગલવાળા ગામની શાળા માટે હાઇકોર્ટે નોંધ લઈ સુઓમોટોનો ઉપયોગ કરી સરકારને છ માસમાં શાળા બનવવા માટેનો આદેશ કર્યો છે. ત્યારે જનીયારા ગામ સહિત જિલ્લામાં આવેલી આવી અન્ય શાળાઓનું શું?? સરકાર આવી શાળઓના બાંધકામની તસ્દી લે છે કે કેમ તે તો આવનાર સમયમાં જ ખબર પડશે.