ગૌરવ પટેલ/અમદાવાદ :પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટીએ ટ્રેન્ડમાં બહુમતનો આંકડો પાર કરીને પ્રચંડ લીડ મેળવી છે. કહી શકાય કે જે પ્રકારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ જબરદસ્ત જીત મેળવી હતી તેવી જ જીત તેણે પંજાબમાં મેળવી છે. તો પંજાબમાં કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગયુ છે. બીજી તરફ, યુપી, ગોવા, ઉત્તરાખંડમાં ભાજપનો વિજય ધ્વજ લહેરાતો દેખાઈ રહ્યો છે. યુપીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે. ત્યારે ગુજરાતમાં આ જીતનો જશ્ન શરૂ થઈ ગયો છે. એક તરફ ભાજપ દ્વારા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે ઉજવણીનું આયોજ કરાયુ છે. તો બીજી તરફ, આપ ગુજરાતના કાર્યકર્તાઓ દ્વારા રોડ શો દ્વારા પંજાબની જીતને વધાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના તમામ કાર્યાલયમાં વિજયોત્સવ
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. જેથી સમગ્ર રાજ્યના તમામ જિલ્લા-મહાનગરના ભાજપ કાર્યાલય ખાતે બપોરે 1.30 કલાકે વિજયોત્સવ ઉજવવામાં આવશે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પણ સીઆર પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા અન્ય પદાધિકારીઓ હાજર રહીને ઉજવણી કરશે. 



પાંચ રાજ્યોના પરિણામો પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યુ કે, પાંચ રાજ્યોના પરિણામોમાં ભાજપ આગળ છે. મોદી સાહેબ અને અમિત શાહના અથાગ પ્રયત્નોથી પરિણામો પ્રાપ્ત થયા છે. ચાર રાજ્યોમાં બહુમતીથી ભાજપ સરકાર બનાવશે. તો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, દેશભરમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. તમામ રાજ્યોમાં ભાજપે લોકોપયોગી કામગીરી કરી હતી. લોકો માટે કરેલ કામ પરિણામોમાં જોવા મળી રહ્યા છે. મોદી સાહેબ અને ભાજપ પર લોકોનો વિશ્વાસ ટકેલો છે. યુપીમાં ગુંડારાજ ખત્મ કરવાનું કામ ભાજપે કર્યું છે. ગરીબો માટે ભાજપની સરકારોએ કામ કર્યા છે. વર્ષો બાદ યુપીમાં કોઈ સરકાર રિપીટ થઈ છે. 


પંજાબની જીતની ઉજવણીમાં ગુજરાત આપની રેલી 
પંજાબમાં આપને સ્પષ્ટ બહુમતીથી ગુજરાત આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે. પંજાબમાં આપની સરકાર બનતાં ગુજરાતના કાર્યકરોમાં ઉત્સાહમાં આવી ગયા છે. અમદાવાદના કાર્યાલયની બહાર મંડપ  લગાવી વિશાળ સ્ક્રીન પર પરિણામો દર્શાવાઇ રહ્યાં છે. સાથે ઢોલ નગાડા વગાડી કાર્યકરોએ ઉજવણી કરી. પંજાબની જીતને વધાવવા બપોરે બે કલાકે આમ આદમી પાર્ટી દ્વારા રોડ શોનુ આયોજન કરવામા આવ્યુ છે. જેમાં આપ કાર્યાલયથી ગાંધી આશ્રમ સુધી રોડ શો નીકળશે. 



ગુજરાતમાં લોકો પાસે વિકલ્પ ન હતો - ઈસુદાન ગઢવી
આપના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, પંજાબની જનતાએ વોટ નથી આપ્યો, પણ અરવિંદ કેજરીવાલની ઈમાનદારી પર વોટ આપ્યો છે. આ જીતનો અર્થ એ છે કે તેની અસર ગુજરાત પર થશે. ગુજરાતની જનતા ભાજપ સરકાર અને કોંગ્રેસથી ત્રાહિમામ પોકારી ગઈ છે. ભાજપ અહી લોકપ્રિય નથી, પણ લોકો પાસે વિકલ્પ ન હતો. હવે આમ આદમી પાર્ટી નેશનલ પાર્ટી બની ગઈ છે. ગુજરાતની જનતા પર તેના પર વિશ્વાસ કરશે. ગુજરાતમાં પણ તેની લહેર આવશે. દિલ્હી સરકાર મફત વીજળી આપે છે, છતા સરકારને બોજો નથી પડતો. તો ગુજરાતમાં કેમ નહિ.