Fake Ghee: દરેક વ્યક્તિ ઘીનું સેવન કરે છે. કેટલાક લોકો ઘરમાં મલાઈમાંથી શુદ્ધ ઘી કાઢે છે, જ્યારે મોટાભાગના લોકો બજારમાંથી ઘી ખરીદીને તેનું સેવન કરે છે. જો ઘી શુદ્ધ હોય તો તેની સુગંધ પણ અદ્ભુત હોય છે. તેનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ઘણી વખત માહિતીના અભાવે લોકો બજારમાંથી નકલી ઘી ખરીદે છે, જેનો સ્વાદ તો ખરાબ હોય છે પણ તે સ્વાસ્થ્ય માટે પણ ખરાબ હોઈ શકે છે. આજકાલ મોટાભાગની વસ્તુઓમાં ભેળસેળ જોવા મળે છે. ત્યારે ગાંધીનગરના છત્રાલ જીઆઈડીસીમાંથી એક મોટો જથ્થો ઝડપાયો છે. છત્રાલ જીઆઈડીસીમાંથી 79 લાખનું નકલી ઘી ઝડપાયું છે. સ્વાગત પ્રોડક્ટમાંથી 16 હજાર કિલો નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

79 લાખની કિંમતનો 16,000 કિ.ગ્રા જથ્થો જપ્ત 
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગાંધીનગર ટીમ દ્વારા બાતમીના આધારે શંકાસ્પદ પેઢી ખાતે તપાસ હાથ ધરતા ઘીમાં ભેળશેળ થતી હોવાનું ધ્યાને આવતા શંકાસ્પદ ઘીનો રૂ. 79 લાખની કિંમતનો 16,000 કિ.ગ્રા જથ્થો જપ્ત કરાયો છે. 


વનસ્પતિ ઘીના ટીન મળી આવ્યા હતા
વધુમાં જણાવ્યા અનુસાર, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા છત્રાલ જી.આઈ.ડી.સી ખાતેની મે. સ્વાગત પ્રોડક્ટ ખાતે રેડ કરતા ત્યાં ઘી સાથે વનસ્પતિ ઘીના ટીન મળી આવ્યા હતા, જેને ઘીમાં ભેળવીને વેચાણ થતું હોવાની શંકાના આધારે પેઢીના માલિક શ્રી જીગરભાઈ પટેલની હાજરીમાં ઘીના કુલ ૧૫ નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે બાકીનો રૂ. ૭૯ લાખની કિંમતનો ૧૬,૧૫૯ કિ.ગ્રા. જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો સ્થળ ઉપરથી જપ્ત કરવામાં આવ્યો હતો.


કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે
આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે.