નવનીત દલવાડી, ભાવનગરઃ  ભાવનગર જિલ્લાના બપાડા ગામના ખેડૂત સહદેવસિંહ ગોહિલે ઇઝરાયલી ખારેકની ખેતી કરી રહ્યા છે. તેઓએ પોતાની 9 વીઘાની વાડીમાં 365 ખારેકના વૃક્ષોનો ઉછેર કર્યો છે. રોપ, વાવણી, માવજત અને ઉછેર પાછળ ખુબ મહેનત કરી સીઝનમાં 10 થી 12 લાખની આવક મેળવી રહ્યા છે. તેઓને ખારેક બહાર વેચવા માટે નથી જવું પડતું, સીધા ખેતર નજીક પ્રાકૃતિક ખારેકનો સ્ટોલ ઉભો કરી સીધું લોકોને વેચાણ કરી રહ્યા છે અને જે થકી છેલ્લા ત્રણ વર્ષમાં 30 લાખથી વધુ રૂપિયાની તેઓ કમાણી કરી ચૂક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર જિલ્લાના ખેડૂતો હવે ખેતી થકી સમૃદ્ધ બની રહ્યા છે. સામાન્ય રીતે ખેડૂતો ઘઉં, બાજરી, કપાસ કે મગફળીની ખેતી કરતા હોય છે. જ્યારે અનેક ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે અને દાડમ, પપૈયા, જમરૂખ, ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે. પરંતુ જિલ્લાના તળાજા તાલુકામાં આવેલાં બપાડા ગામના ખેડૂત બંધુઓ કઈક અલગ ચીલો ચાતરીને લાખોની કમાણી કરી રહ્યા છે. સામાન્ય રીતે ખારેક ઇઝરાયલથી ભારત આવતી હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી કચ્છ વિસ્તારમાં ઇઝરાયલી ખારેકનું વાવેતર જોવા મળી રહ્યું છે. ત્યારે ભાવનગર જિલ્લાના બપાડા ગામના ખેડૂત બંધુઓ હરદેવસિંહ ગોહીલ અને સહદેવસિંહ ગોહીલે સાહસ કરી પોતાને વારસાઈમાં મળેલી 9 વીઘા જમીનમાં ખારેકનું વાવેતર કરી ઇતિહાસ સર્જ્યો છે. હાલ તેમની વાડીમાં ખારેકના વૃક્ષો લહેરાઈ રહ્યો છે. અને ખેડૂતની ભારે જહેમત બાદ આ તમામ વૃક્ષો પર ખારેકનું મબલક ઉત્પાદન જોવા મળી રહ્યું છે.


આ પણ વાંચોઃ સોશિયલ મીડિયા પર ધાર્મિક પોસ્ટ બાદ પાટણમાં બબાલ, બે જૂથો વચ્ચે મારામારી, સાતને ઈજા


તળાજા તાલુકામાં મોટાભાગના ખેડૂતો કપાસ, મગફળી, જુવાર તેમજ ફળાઉ વૃક્ષોમાં આંબા, પપૈયા અને કેળની ખેતી કરે છે. ત્યારે અભ્યાસ કરી ગ્રેજ્યુએટ બનેલા બને બંધુઓમાં હરદેવસિંહ ગોહિલે વારસાગત ખેતીને જ પોતાના વ્યવસાય તરીકે સ્વીકારી લીધો છે. જ્યારે સહદેવસિહ ગોહીલ હાલ સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. પોતે સરકારી નોકરી કરતા હોય વારસાઈમાં મળેલી જમીનમાં મોટાભાઈ હરદેવસિંહ ગોહીલ ખેતીનું કામકાજ સંભાળી રહ્યા છે. ગ્રેજ્યુએટ બન્યા પછી હરદેવસિંહનું મન કઈક અલગ કરવાનું વિચારી રહ્યું હતું. અને જેના કારણે જ તેમણે ખારેકની ખેતી કરવાનું પસંદ કર્યું, જેના માટે સલાહ સૂચન લેવા તેમણે બાગાયત અધિકારીનો પણ સંપર્ક કર્યો પરંતુ અધિકારીએ ખારેકની ખેતી આ વિસ્તારમાં અશક્ય હોવાનું જણાવ્યું હતું. પરંતુ જે મનમાં નક્કી કરી લીધું હતું કે કરવી તો ખારેકની ખેતી જ.


ગુજરાતના કચ્છમાં ઇઝરાયલી ખારેકની ખેતી કરવામાં આવી રહી છે. જેને લઈને તેઓ ત્યાં ગયા અને મોંઘા ભાવના ટિષ્યુંકલ્ચર પદ્ધતિથી તૈયાર કરેલા ખારેકના રૂપિયા 3300 નો એક એવા 365 રોપા લઈ આવ્યા, અને બંને ભાઈઓની મળી 9 વીઘા વાડીમાં તેનું વાવેતર કરી ભારે મહેનતથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી તેનો ઉછેર કરવા લાગ્યા, અને તેમની આજ લગન અને મહેનતનું તેમને પરિણામ પણ મળ્યું, ખારેકના છોડ મોટા થયા અને તેમાં ખારેક પણ આવી, અને જેવી તેવી નહિ તેમણે કરેલી મહેનતના પરિણામ જેવી જ મીઠી. ઉત્પાદન શરૂ થતાં લોકો સામે ચાલીને તેમની વાડીએ ખરીદી કરવા આવવા લાગ્યા, પોતાની વાડીએથી જ સીધી ખરીદી થતાં તેમણે વાડી બહાર જ સ્ટોલ નાખી વેચાણ શરૂ કરી દીધું.


આ પણ વાંચોઃ ફરી સાચવજો! અંબાલાલ પટેલ આવી ગયા છે મેદાનમાં : ભુક્કા બોલાવે તેવા વરસાદની કરી આગાહી


ઝી મીડિયાની ટીમ સાથે વાત કરતા ખેડૂત હરદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, બીજા ખેડૂતોની જેમ મારે મારું ઉત્પાદન બજારમાં વેચવા જવું નથી પડતું, ચોક્કસ અને સારી ક્વોલિટીની ખારેક જ વૃક્ષ પરથી ઉતારું છું જેના કારણે ભાવ પણ સારા મળી રહ્યા છે. અને ત્રણ વર્ષ દરમ્યાન 30 લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવ્યું છે. હાલ સીઝન દીઠ ૧૦ થી ૧૨ લાખની કમાણી થઈ રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube