અર્પણ કાયદાવાલા/ અમદાવાદ: આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઇકર્મચારીઓની હડતાળનો અંત આવી ગયો છે. કહેવા ખાતર પડતર પ્રશ્નોની માંગણીઓને લઇને 23 જુલાઇએથી હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને મ્યુનિસિપલ કમિશ્નરે મચક ન આપતા કર્મચારી આગેવાનો ઢીલા પડ્યા છે. જ્યાં આજે કમિશ્નર સાથે થયેલી મુલાકાત બાદ બન્ને પક્ષોએ સત્તાવાર રીતે હડતાળ પૂર્ણ થયાની જાહેરાત કરી છે. જેમાં કર્મચારીઓએ શહેરને પડેલી મુશ્કેલી અંગે માફી માંગી છે અને ભવિષ્યમાં આવી રીતે શહેરને બાનમાં નહી લેવાય તેવી ખાતરી પણ આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પડતર પ્રશ્નોની માંગણીને લઇને મ્યુનિસિપલ કોર્પોરેશનના 13000 સફાઇકર્મીઓ 23 જુલાઇએ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા હતા. પરંતુ શરૂઆતથી જ મ્યુનિસિપલ કમિશ્નરે હડતાળ મામલે અત્યંત કડક વલણ અપનાવ્યું હતું. અને કોઇપણ સંજોગોમાં હડતાળીયા કર્મચારીઓ સામે નહી ઝુકવાની વાત કરી હતી. સાથે જ વારંવારની આ પ્રકારની હડતાળથી શહેરીજનોમાં પણ આ વખતે ભારે રોષ હતો, જેની અસર સોશ્યલ મીડિયામાં પણ જોવા મળી હતી.

આવી છે અમદાવાદી રીક્ષાવાળાની ઇમાનદારી, પુરૂ પાડ્યું ઉત્તમ ઉદાહરણ


એએમસીએ હાઇકોર્ટમાં પીટીશન કરતા કોર્ટે પણ સફાઇકર્મચારીઓને ખખડાવ્યા હતા. આમ તમામ મોરચે દબાણ સર્જાતા બે દિવસ સુધી શહેરમાં કચરો ફેંકીને શહેરને બાનમાં લેનારા સફાઇ કર્મચારીઓ ભીંસમાં મૂકાયા હતા. પરીણામે આજે સવારથી હડતાળગ્રસ્ત પાંચ ઝોનના વિવિધ વિસ્તારોમાં કેટલાય કર્મચારીઓ આપોઆપ ફરજ પર ચઢી ગયા હતા. દરમ્યાન સવારે 11 વાગે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મ્યુનિસિપલ નોકર મંડળ અને મ્યુનિસિપલ કમિશ્નર વચ્ચે બેઠક મળી. જ્યાં અડધો કલાકમાં જ નોકર મંડળે હડતાળ પરત ખેંચવાની જાહેરાત કરી દીધી.

હાર્દિક બન્યો આરોપી નંબર 17 : હાર્દિક, લાલજી પટેલને 2 વર્ષની સજા


જેમાં તેઓએ પોતાની માંગણી અંગે યોગ્ય ખાતરી મળી હોવાનું કહ્યું, સાથે જ તેઓએ તેમની આ વખતની વર્તણુકને લઇને શહેરીજનોની માફી માંગી અને આગામી સમયમાં પોતાની ફરજ યોગ્ય રીતે બજાવવાની વાત કરી. ઉપરાંત સ્વચ્છ સર્વેક્ષણમાં શહેરનો પ્રથમ ક્રમ આવે એવા તમામ પ્રયત્નો કરવાની ખાતરી પણ આપી.


મ્યુનિસિપલ કમિશ્નરનો ચાર્જ સંભાળતા જ શરૂ થયેલા આ વિવાદમાં વિજય નહેરાએ પ્રથમ દિવસે જ કર્મચારીઓને અત્યંત કડક ચેતવણી આપી પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધુ હતુ. સાથે જ તમામ કાયદાકીય અને કાનુની વિકલ્પોની પણ વાત કરી હતી. જ્યાં આજે હડતાળ સમેટાઇ જતા તેઓએ નિષ્ઠાથી કામ કરનારા કર્મચારીઓના તમામ પ્રશ્નો સાંભળવામાં આવશે તેમ જણાવ્યું હતું. 


સાથે જ બે દિવસથી શહેરમાં ઉભી થયેલી ગંદકીની સ્થીતીને ગણતરીના દિવસોમાં થાળે પાડી આગામી સમયમાં શહેરને દેશના સૌથી સ્વચ્છ શહેર બનાવવા માટે કામ કરવા પર ભાર મૂક્યો. મ્યુનિસિપલ કમિશ્નરે હડતાળના કપરા સમયમાં તંત્રને સાથ આપનારા શહેરીજનોનો પણ ખાસ આભાર માન્યો છે. અને કર્મચારીઓની માંગણીઓ અંગે તબક્કાવાર ઉકેલ લાવવાની વાત કરી છે.


સમયાંતરે વિવિધ માંગણીને લઇને હડતાળ જાહેર કરી દેતા મ્યુનિસિપલ નોકર મંડળને આ વખતે હાઇકોર્ટે પણ ઠપકો આપ્યો હતો. ત્યારે હાલ તમામ મામલો શાંતિપૂર્વક ઉકેલાઇ જતા એએમસી સહીત શહેરીજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.