• વિસનગર તાલુકાના સવાલા ગામમાં લગ્નપ્રસંગના જમણવારમાં 1255 લોકોને ફુડ પોઇઝનિંગ

  • કોંગ્રેસના નેતાના પુત્રના લગ્નની દાવતમાં ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ 

  • આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને સમાચાર મળતા ગાંધીનગરથી મોડી રાત્રે 3:30 વાગ્યે વિસનગર દોડી આવ્યા

  • મંત્રી ઋષિકેશ પટેલે મોડી રાત્રે વિસનગર અને વડનગરની વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓના ખબર લીધા 


ઝી મીડિયા/બ્યૂરો :મહેસાણા જિલ્લાના વિસગનર તાલુકાના સવાલા ગામમાં ગઇકાલે યોજાયેલ લગ્નપ્રસંગના જમણવારમાં 1000 થી વધુ લોકોને ફુડ પોઇઝનીંગ થયું હતુ. જેને પગલે વિસનગરના ધારાસભ્ય સભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને આ સમાચાર મળતા તેઓ તરત જ ગાંધીનગરથી મોડી રાત્રે 3:30 વાગ્યે વિસરનગર દોડી આવ્યા હતા. જે દાવતમાં એકસાથે 1255 લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા હતા, તે કોંગ્રેસના નેતાના પુત્રના લગ્નની દાવત હતી. કોંગી નેતા વઝીરખાનના પુત્ર શાહરુખ ખાનના લગ્નમાં નોનવેજ ખાવાથી ત્રણ હજારની વસ્તીવાળું આખું ગામ ફૂડ-પોઇઝનિંગની ઝપેટમાં આવી ગયુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગી નેતાના પુત્રના લગ્નની દાવત
હોંશેહોંશે રખાયેલી લગ્નની દાવતમાં કોઈએ વિચાર્યુ પણ ન હતું કે બીજા દિવસે હોસ્પિટલમાં જવુ પડશે. ગઈકાલે વિસનગરના સવાલા ગામે કોંગ્રેસના આગેવાન વઝીર ખાનના પુત્ર શાહરૂખના લગ્નનો રિસેપ્શન પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. લગ્નમાં ભવ્ય આયોજન કરાયુ હતું. મુંબઈથી દિલ્હી કેટરર્સને મહેમાનોના જમણવાર માટે ખાસ બોલાવાયુ હતું. જેમાં ભોજન બાદ લોકોની તબિયત બગડવા લાગી હતી. 



6 ગામની હોસ્પિટલમાં દર્દીઓ ભરાયા
એકસાથે 1255થી વધુ લોકોને દાવતમાં નોનવેજ ખાધા બાદ અસર થઈ હતી. આ કારણે હોસ્પિટલોમાં જગ્યા પણ ખૂટી પડી હતી. વિવિધ છ ગામની હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ હતી. વિસનગર, મહેસાણા, ઊંઝા, ખેરાલુ, વડનગર અને ગાંધીનગર સિવિલમાં દર્દીઓને ખસેડાયા હતા.  



આરોગ્ય મંત્રી રાતોરાત વિસનગર દોડ્યા
મંત્રી ઋષિકેશ પટેલે વિસનગરની સિવિલ હોસ્પિટલ, વડનગર સરકારી હોસ્પિટલ અને નૂતન હોસ્પિટલ સહિતની વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓની મુલાકાત લઇ સ્વાસ્થ્ય પૃચ્છા કરી હતી. ઋષિકેશ પટેલે આરોગ્યતંત્રને દર્દીઓને સિવિલ હોસ્પિટલ ઉપરાંત તાલુકાની વિવિધ હોસ્પિટલ અને નજીકના તાલુકાની વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સધન સારવાર ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપી હતી. 



કઈ હોસ્પિટલમાં કેટલા દર્દી ખસેડાયા
આરોગ્ય તંત્રથી મળતી વિગતો અનુસાર, વિસનગરની નૂતન હોસ્પિટલમાં 410, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 300, મહેસાણાની જી.એચ. હોસ્પિટલમાં 206, વિસનગર સી.એચ.સી. માં 44, ઉંઝા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટસમાં 5, વડનગર સરકારી હોસ્પિટલમાં 135, સી.એચ.સી. ખેરાલુમાં 7 અને મહેસાણાની હોસ્પિટલમાં 50 આમ કુલ 1057 જેટલા દર્દીઓને સધન સારવાર આપવામાં આવી હતી



આ તમામ દર્દીઓની હાલત હાલ સ્થિર છે. જેમાંથી મોટાભાગના દર્દીઓ સારવાર મેળવીને ઘરે પરત ફર્યા છે. દર્દીઓને સધન સારવાર મળી રહેતા કોઇ પણ પ્રકારનો ગંભીર બનાવ કે મૃત્યુ નોંધાયુ નથી. આગામી સમયમાં ફુડ પોઇઝનીંગના વધુ કેસ નોંધાય ત્યારે તમામ દર્દીઓને ત્વરીત સારવાર ઉપલબ્ધ કરાવવા વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લા આરોગ્યતંત્રને સજ્જ રહેવાની તાકીદ હાથ ધરી છે.