અલકેશ રાવ/ બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના થરાદમાં એક જ દિવસમાં ચાર લોકોના મોત નીપજ્યા છે. થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં એક મહિલાએ પોતાના 4 સંતાનો સાથે આપઘાત કર્યાની ઘટનાના થોડા સમય બાદ વધુ એક યુવકે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી છે. ત્યારે એક જ દિવસમાં એક જ કેનાલમાં ચાર લોકોના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠામાં એક જ દિવસમાં ચાર લોકોના મોતથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં એક મહિલાએ પોતાના 4 સંતાનો સાથે ઝંપલાવ્યું હતું. મહિલાએ અગમ્ય કારણોસર પોતાની 4 બાળકીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું. કેનાલમાં ડૂબવાથી મહિલા અને તેની બે બાળકીઓ સહિત 3 લોકોના કરુણ મોત નિપજ્યા છે. બે બાળકીઓને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધી છે. ત્રણ લોકોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો:- કચ્છમાં મંત્રની ઓફીસ સામે કાયદાની ઐસી કી તૈસી, જાહેરમાં હથિયાર વડે શખ્સ પર હુમલો; સામે આવ્યા CCTV


પોતાની દીકરીઓ સાથે મોત વ્હાલુ કરનાર મહિલાનું નામ દિવાળીબેન પરમાર છે, જે ચોથારનેસડા ગામની રહેવાસી છે. મહિલાએ આવુ કેમ કર્યું તે હજી જાણી શકાયુ નથી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો પહોંચી ગયો હતો. મહિલા અને બાળકીઓને કેનાલમાં શોધીને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં ત્રણના મૃતદેહ બહાર કઢાયા હતા.


આ પણ વાંચો:- Ahmedabad: પરિવારે પોતાના ગુનામાં બાળકને પણ કર્યું સામેલ, પોલીસે 4 શખ્સોની કરી ધરપકડ


જો કે, નર્મદા કેનાલમાં મહિલાના આપઘાત કર્યાને 24 કલાક પણ થયા નથી કે વધુ એક યુવકના કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. યુવકે અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવાનું હાલ તો સામે આવ્યું છે. સ્થાનિક તરવૈયાઓ દ્વારા યુવકની લાશને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. ત્યારે યુવકે કયા કારણોસર આપઘાત કર્યો તેમજ મહિલાએ તેની બાળકીઓ સાથે કેમ આપઘાત કરવો પડ્યો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube