ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના રસીકરણ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં 10 શહેરોમાં હાલ ચાલી રહેલી 18 થી 44 વય જૂથના લોકોની રસીકરણ કામગીરીમાં રોજના 30 હજાર ડોઝ આપવામાં આવે છે તે વધારીને આવતીકાલ સોમવાર 24 મેથી એક અઠવાડિયા સુધી રોજના ૧ લાખ ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં 18 થી 44 ની વય જૂથના યુવાઓ નું રસીકરણ ઝડપથી અને વ્યાપક પણે થાય તેમજ વધુને વધુ યુવાઓને કોરોના સામેના આ અમોધ શસ્ત્ર એવા રસીકરણ નો લાભ આપી કોરોના થી સુરક્ષિત રાખવાના આરોગ્ય રક્ષા ભાવ સાથે વિજય રૂપાણી એ આરોગ્ય વિભાગ ને આ ડોઝ એક સપ્તાહ સુધી 1 લાખ ડોઝ રસીકરણ કરવા સૂચવ્યું છે. 


વિજય રૂપાણીના યુવા આરોગ્ય હિતકારી આ નિર્ણયથી  અગાઉ 30 હજાર યુવાઓના રોજ થતા રસીકરણમાં હવે રોજના એક લાખ યુવાઓને આવરી લેવાશે. આ નિર્ણયને પરિણામે એક અઠવાડિયામાં અંદાજે 8 લાખ યુવાઓને કોરોના રસીકરણનો લાભ મળતા કોરોના સામે વધુને વધુ યુવાઓને રક્ષણ મળશે.


આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ ના માર્ગદર્શનમાં આરોગ્ય વિભાગે આ રસીકરણ વ્યવસ્થા સુચારુ અને સુઆયોજિત રીતે પાર પડે તે માટેનું આયોજન કર્યું છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી દિશા દર્શનમાં ગુજરાત દેશભરમાં પર મિલિયન વેક્સિનેશન માં અગ્રેસર રહ્યું છે. 


ફ્રંટલાઈન વોરિયર્સ,45 થી વધુ વય ના લોકો ના રસીકરણ માં ગુજરાતે આ અગ્રેસરતા મેળવ્યા બાદ હવે 18 થી 44 વય જૂથના લોકોનું પણ વ્યાપક અને ઝડપી રસીકરણ કરીને યુવાઓ ની આરોગ્ય રક્ષા ક્ષેત્રે પણ દેશ માં અગ્રેસર રહેવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube