ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ નાગરિકોમાં રહેલા રોષ ઠારવાની સાથે સંગઠન અને સરકાર વચ્ચેના સંકલન ને સાધવા પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવે બેઠકોનો દોર યોજ્યો. પ્રદેશ કાર્યાલય કમલમ પ્રભારીએ કોર કમિટીના સભ્યો સાથે બેઠક કરી જેમાં સરકાર અને સંગઠનની કામગીરી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમાં કોરોનાની બીજી લહેરમાં સરકારે ભરેલા પગલાં અને સંગઠનના સેવાકાર્યો અંગે પ્રભારીને માહિતી આપવામાં આવી. તો સાથે જ કોંગ્રેસના રાજકીય વિરોધની વચ્ચે ગુજરાતની રાજકીય સ્થિતિનો પણ પ્રભારીએ તાગ મેળવ્યો. સંગઠન અને સરકાર ના મુખ્ય હોદેદારો સાથે તેમણે 3 કલાક વિસ્તૃત ચર્ચાઓ કરી.


ભાજપ પ્રભારીની આ મુલાકાત કોરોનાની બીજી લહેરમાં સરકાર અને સંગઠન વચ્ચે ઉઠેલા વિવાદને ડામવાનો પ્રયાસ અને ડેમેજ કંટ્રોલની રીતે જોવાઈ રહ્યો છે. ભાજપ પ્રભારી એ આજે સવારે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાથે બંધ બારણે બેઠક યોજીને ફીડબેક મેળવ્યો તો કોર કમિટી બાદ મુખ્યમંત્રી રૂપાણી અને સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા સાથે બેઠક યોજીને ચર્ચા કરી. કોર કમીટી ની બેઠક બાદ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું કે સરકાર સરકારનું કામ કરે છે અને સંગઠન સંગઠન નું કામ કરે છે.. બંને વચ્ચે સંકલન છે એટલે જ પેટા ચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો.


2022ની ચૂંટણી જીતવા સરકાર અને સંગઠનના તાલમેલ અને સંકલન ખૂબ જ જરૂરી છે અને એટલા માટે જ પ્રભારીએ સરકાર અને સંગઠનના વડાઓ સાથે અલગ અલગ બેઠક યોજી હતી. કોર કમિટી માં સંયુક્ત ચર્ચાઓ બાદ અલગ અલગ બેઠક કરીને પ્રભારી એ તાલમેલ ગોઠવવા પ્રયાસ કર્યો છે. હવે જોવાનું એ રહે છે કે આ બેઠકો બાદ પ્રદેશ પ્રભારી એ લીધેલા ફીડબેકની કેટલી અસર જમીની સ્તર પર જોવા મળે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube