ઉદય રંજન/અમદાવાદ :ગાંધીનગર એક બાદ એક ત્રણ હત્યા કરનાર સીરિયલ કિલર મદન નાયક ઉર્ફે મોનિષે સીઆઇડી ક્રાઇમની પૂછપરછમાં ચોથી હત્યા સ્વીકારી હતી. જેમાં પોલીસને પુરાવા હાથ લાગ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી મથી રહેલી પોલીસને હત્યાનો ભોગ બનેલા વિશાલ પટેલના કંકાલ મળ્યા હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. જેના પગલે સીઆઇડી ક્રાઇમ અને સ્થાનિક પોલીસે તપાસની કાર્યવાહી તેજ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદનો નિકોલ રીંગરોડ પાસે આવેલો દાસ્તાન પાસેના વિસ્તારમાં સીરિયલ કિલરે કૃષ્ણનગરમાં રહેતા વિશાલ પટેલની હત્યા કર્યા બાદ લાશને ગટરમાં ફેંકી દીધી હતી. જેની સીઆઇડી ક્રાઇમની પૂછપરછમાં હકીકત બહાર આવી હતી. જેના બાદ પોલીસે ફાયર બ્રિગેડ કોર્પોરેશન અને સ્થાનિક પોલીસની મદદ લઈને ઘનિષ્ઠ કાર્યવાહી હાથ ધરી હતી. ત્રણ દિવસના અંતે કંકાલના અવશેષો મેળવવામાં પોલીસને સફળતા મળી છે. ફાયર બ્રિગેડના જવાનોએ અકલ્પનીય મહેનત કરીને સીરીયલ કિલર એક કરેલા ચોથા મર્ડરના અવશેષો શોધી કાઢ્યા છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 



અસલાલીના સ્ટેશન ફાયર ઓફિસર રાકેશ શાહે જણાવ્યું કે, હાલ તો મળેલા અવશેષોની અંદર ખોપડી જેવો એક ભાગ તથા ત્રણ એક-એક ફૂટના હાડકા મળી આવ્યા છે. આ ઉપરાંત એક બોલપેન અને ચામડાનો પટ્ટો પણ મળી આવ્યો છે. આ તમામ અવશેષોને ભેગા કરી પોલીસે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ માટે આપવા માટે કાર્યવાહી હાથ ધરી છે. મળેલા કંકાલના હાડકાઓનો ડી.એન.એ ટેસ્ટ કરવા માટે પણ કવાયત હાથ ધરવામાં આવી છે. મળેલું કંકાલ સીરીયલ કિલર દ્વારા હત્યા કરાયેલ વિશાલ પટેલ જ છે કે કેમ તે બાબતની ખરાઇ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની તપાસ પછી જ બહાર આવશે. પરંતુ એક વાત તો ચોક્કસ છે કે જે રીતે સીઆઇડી ક્રાઇમની પૂછપરછમાં સીરીયલ કિલર મોનિશે ચોથી હત્યાની કબૂલાત કરી હતી અને દાસ્તાન ફાર્મની સામે આવેલ ગટર માં હત્યા કરીને લાશ ફેંકી હોવાનું બતાવ્યું હતું તે મુજબ ત્રણ દિવસ સુધી સતત તપાસ કર્યા બાદ ફાયર બ્રિગેડ અને પોલીસ ને કંકાલ રિકવર કરવામાં સફળતા મળી છે. કંકાલના અવશેષોમાં ખોપડી જેવા દેખાતા ભાગ પર એક કાણું પણ મળી આવ્યું છે. સીરિયલ કિલરે વિશાલને લમણા પર ગોળી મારી હત્યા કરી હોવાનું હાલ મનાઈ રહ્યું છે.


સીરીયલ કિલર દ્વારા કરાયેલી ચોથી હત્યાની કબૂલાત બાદ વિશાલ પટેલના કંકાલ ગટરમાંથી મળ્યા હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે એફ.એસ.એલ.માં ડીએનએ ટેસ્ટ કર્યા બાદ કંકાલ કોના છે તેની ખરાઈ થઈ જશે. તો બીજી તરફ પોલીસે હાલ આ કંકાલ વિશાલના જ છે તેમ માનીને ચોથી હત્યાના કેસમાં મૂળ સુધી પહોંચવા ઘનિષ્ઠ કવાયત હાથ ધરી છે.