ચેતન પટેલ, સુરતઃ ગણેશ આગમનની લોકો કેટલાય સમયથી વાટ જોતા હોય છે. મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ ગણેશજી નો ક્રેઝ જો જોવા મળતો હોય તો એ છે સુરત શહેર. પાછલા વર્ષોમાં ગણેશજીના સ્થાપનાથી લઈને વિસર્જન સુધી મંડળો દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હતો પરંતુ હવે જે ટ્રેનડ છે તે બદલાયો છે. હવે ગણેશ આયોજકો દ્વારા જ્યારે ભગવાન ગણેશજીનું આગમન કરવામાં આવતું હોય છે ત્યારે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવતો હોય છે અને આ લાખો રૂપિયા ના ખર્ચ ભરેલા ગણેશ આગમનને જોવા માટે પણ હજ્જારોની સંખ્યામાં લોકો આવતા હોય છે.ગણેશ આયોજકો દ્વારા અલગ અલગ થીમ પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવતી હોય છે. જેમાં કતારા  થીમ, સાઉથ, લેઝીમ, અઘોરી સાધુઓ, જાયન્ટ હનુમાનજી થીમ બજવતા લોકોને અન્ય રાજ્યો માંથી બોલાવતા હોય છે. દર વર્ષે ગણેશજીના આગમન પાછળ કરોડો રૂપિયા ખર્ચ આયોજકો દ્વારા કરવામાં આવતો હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિઘ્નહર્તા દેવ ગણેશજીની આરાધનાના પર્વ ગણેશોત્સવની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. પર્વના દિવસો નજીક આવતા ભક્તોનો ઉત્સાહ દિનપ્રતિદિન વધી રહ્યો છે. એટલું જ નહીં, શહેરમાં ઠેરઠેર ભવ્ય આગમનયાત્રાના દૌર સાથે સુરત શહેર જાણે હમણાંથી જ બાપ્પાની ભક્તિમાં રંગાઈ ગયું છે. જે અંતર્ગત હવે સુરતવાસીઓ પણ મુંબઇ સ્ટાઇલમાં શોભાયાત્રા, બાપ્પાની આગમનયાત્રા પાછળ લખલૂંટ રૂપિયા ન્યોછાવર કરાતા યાત્રાઓ ભપકાદાર બની છે. સુરત શહેરમાં વર્ષો પહેલા અનંત ચૌદશ નિમિત્તે રાજમાર્ગ પર ભવ્ય વિસર્જન યાત્રાનો ટ્રેન્ડ જોવા મળતો હતો. 


હવે આગમન યાત્રા પાછળ ભારે નાણા ન્યોછાવર કરવાનું ચલણ વધ્યું છે. ખાસ કરીને અડાજણ વિસ્તારના જાણીતા ગણેશ મંડળોએ શરૂ કરેલી પ્રણાલી હવે અન્ય વિસ્તારોમાં પણ પ્રસરી છે. તળ સુરતમાં કોટસફિલ રોડ, અડાજણ, વેસુ, અલથાણ, પીપલોદ સહિતના વિસ્તારોમાં ઠેરઠેર હજારો, લાખો રૂપિયાના ખર્ચે બાપ્પાની આગમન યાત્રાને ભવ્ય બનાવાય છે. હાઇટેક્ મ્યુઝિક, લાઈટ સિસ્ટમથી માંડીને અન્ય શહેર, રાજ્યના કલાકારોને પણ શોભાયાત્રામાં બોલાવાય છે. આ ઉપરાંત થીમ બેઝ્ડ ડેકોરેશન, લાઇટીંગ સેટ ઊભા કરવામાં આવે છે. સુરતમાં મંડળો દ્વારા શોભાયાત્રા પાછળ કરવામાં આવતા ખર્ચનું બજેટ પણ પાંચ વર્ષમાં તોતિંગ થઈ ગયું છે. 


સુરત શહેરમાં ૮ હજાર જેટલા ગણેશ મંડળો શોભાયાત્રા કાઢતા હોય બધું મળી સહેજે ૫૦ કરોડનો ખર્ચ બાપ્પાના આગમન પાછળ થતો હોવાનું માનવામાં આવી રહ્યું છે..બાપ્પાની શાહી સવારી પાછળ ચાલુ વર્ષે અધધધ ૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. સુરતના ૨૦ મંડળોએ આગમનયાત્રા પાછળ સરેરાશ ૨૫ લાખ ,૩૦ મંડળોએ ૧૫ લાખ અને ૫૦ મંડળોએ ૧૦ લાખનું બજેટ ફાળવ્યું છે જેમાં ૧૦૦ મોટા મંડળો જ ૧૪.૫ કરોડનો ખર્ચ કરશે.કાંતારા થીમ પર ગણેશજીની શોભાયાત્રા કાઢી હતી. કાંતારાના વેશમાં આવેલા કલાકારોએ આકર્ષણ જમાવ્યું હતું. તે માટે ૨૭ કલાકારોની મદ્રાસથી વિશેષ ટીમ આવી હતી. 


આ સિવાય ૨૫૦ ઢોલવાળા, બેન્ડ પાર્ટીમાં ૪૦ જણાં, લેઝીમ કરવા ૧૦૦ યુવાનો સહિત સમગ્ર શોભાયાત્રામાં ૫૦૦ કલાકારો જોડાયા હતા. લાખ રૂપિયા ના ખર્ચે જ્યારે ભગવાન ગણેશની શોભાયાત્રા કાઢવામાં આવતી હોય છે ત્યારે હજારોની સંખ્યામાં લોકો આ શોભાયાત્રા જોવા માટે ભેગા થતા હોય છે ત્યારે ગણેશ આયોજક મંડળોમાં એ ક્રેઝ હોય છે કે પોતાની શોભાયાત્રામાં સૌથી વધુ લોકો જોવા માટે ઉમટે.