હિમાશું ભટ્ટ, મોરબી: છેલ્લા 11 દિવસથી શહેરના જુદાજુદા વિસ્તારોમાં ગણેશજીનું સ્થાપન કરીને તેનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું હતું. તે દરમ્યાન આજે મોરબીમાં ગણેશ વિસર્જન દરમ્યાન કોઈ અઘટીત બનાવ ન બને તે માટે નગરપાલિકા દ્વારા શહેરમાં ચાર જગ્યાએ ગણેશોત્સવના આયોજકો પાસેથી ગણેશજીની મુર્તિ એકત્રીત કરીને મચ્છુ નદીમાં ગણેશજીની મુર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યુ હતું. ત્યારે ભક્તો દ્વારા એક દો તીન ચાર ગણપતિ કા જય જયકાર સહિતના ગગન ભેદી જય ઘોષ કરવામાં આવ્યા હતા આ તકે કેટલાક ભક્તોની આંખો ભીની થઇ ગઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગણેશોત્સવનું મહત્વ છેલ્લા વર્ષોમાં મોરબી સહીત સૌરાષ્ટ્રમાં પણ વધી રહ્યું છે અને ઠેરઠેર ગણેશજીની સ્થાપના કરીને ગણપતિ બાપનું પૂજન અર્ચન કરવામાં આવતું હોય છે. આજે ગણેશોત્સવનો છેલ્લો દિવસ હોવાથી મોરબીમાંથી મોટી સંખ્યામાં વાજતે ગાજતે ગણપતિ વિસર્જન કરવામાં માટે ધામધુમ સાથે ભક્તો નીકળ્યા હતા અને ત્યારબાદ "ગણપતિ બાપા મોરીયા, અગલે બરસ તું જલ્દી આના" સહિતના જય ઘોષ કર્યા હતા. જો કે, શહેરમાં વિસર્જન સમયે કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે પાલિકા દ્વારા મચ્છુ નદીમાં વિસર્જન માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને શહેરમાંથી આવતી તમામ મૂર્તિઓને ક્રેઇન , તરવૈયા તેમજ ફાયર બ્રિગેડની ટીમને સાથે રાખી આર.ટી.ઓ નજીક મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યુ હતું.

વડોદરામાં ગણેશ વિસર્જનની સવારીમાં ડીજેમાં ડાન્સ બાબતે મારામારી


ગણપતિ વિસર્જનમાં ડુબી જવાથી ઘણા લોકોના મૃત્યુ છેલ્લા વર્ષોમાં જુદાજુદા વિસ્તારોમાં થયા છે. જેથી કરીને આવો બનવા મોરબીમાં ન બને તેના માટે પાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે અને શહેરમાં શનાળા રોડ સમય ગેટ પાસે, એમ.પી.શેઠ ગર્લ્સ સ્કૂલ વી.સી.ફાટક પાસે, સામાકાંઠે એલ.ઇ.ક્રિકેટ ગ્રાઉન્ડ અને જેઈલરોડ પર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એમ ચાર સ્થેળે મુર્તિઓ સ્વીકારવામાં આવે છે અને દિવસ દરમ્યાન જેટલા પણ લોકો ગણેશજીની મૂર્તિ મૂકી જશે તેની પાલિકાની ટીમ દ્વારા તરવૈયાઓની મદદથી મચ્છુ નદીમાં વિસર્જન કરવામાં આવશે. આજે સવારથી બપોર સુધીમાં ૧૫૦ જેટલી મુર્તિઓનું નદીમાં વિસર્જન કરી દેવામાં આવ્યુ છે અને આજે મોડી રાત સુધી કોઇપણ વિસ્તારમાંથી મુર્તિ આવશે તો તેનું નદીમાં તંત્ર દ્વારા વિસર્જન કરી આપવામાં આવશે.

Ganesh Visarjan: આજે બજારમાં નિકળતાં પહેલાં જાણી લો કયા રૂટ રહેશે બંધ ? આ છે વૈકલ્પિક રૂટ


શહેરમાં જુદાજુદા વિસ્તારમાં નાના મોટા ગણેશોત્સવના આયોજનો કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત ઘણા લોકોએ પોતાના ઘર અને દુકાનોમાં પણ ગણેશજીના સ્થાપન કર્યા હતા અને ગણેશજીનું પૂજન અર્ચન કર્યું હતું. જો કે, આજે નાની મોટી ૭૦૦ જેટલા ગણેશજીની મૂર્તિઓનું પાલિકા તંત્ર અને લોકો દ્વારા વિસર્જન કરવામાં આવશે અને આજે નદી કાંઠે ફાયર વિભાગનો સ્ટાફને હાજર રાખીને ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું હતું. ત્યારે ઘણા લોકોની આંખ ભીની થઈ હતી અને ભારે હૈયે ગણપતિ બાપાને વિદાય આપી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube