અમદાવાદઃ ન માત્ર ભાજપ પરંતુ, સોમવારે કોંગ્રેસના પણ 4 લોકસભા ઉમેદવારોએ ફોર્મ ભર્યા. જોકે, ઉમેદવારોની ઉમેદવારી વચ્ચે કોંગ્રેસની નવી રાજનીતિ હવે ચર્ચામાં આવી છે.. જી હાં, કોંગ્રેસના નેતાઓ હવે વિચિત્ર રાજનીતિથી  લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે.. ઉમેદવારી ભરતી વખતે લોકોની ભીડ જોઈને ગેનીબેન ઠાકોર અને ઋત્વિક મકવાણાની આંખમાંથી આંસુ આવી ગયા તો નૈષધ પટેલ નવા જ રૂપમાં દેખાયા.. જુઓ આ રિપોર્ટ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબહેન ઠાકોરનો આ અંદાજ છે.. ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલાં બનાસકાંઠામાં ગેનીબેને મતદારોમાં પોતાનું પ્રભુત્વ દર્શાવ્યું. બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં હજારો લોકો જોડાયા હતા. ટ્રેક્ટર, બાઈક અને ગાડીઓ સહિતનાં વાહનોમાં સમર્થકો આવી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ પણ ટ્રેક્ટરમાં બેસી જનઆશીર્વાદ સભા સ્થળે જવા રવાના થઈ હતી. ભવ્ય રોડ શૉ યોજીને ગેનીબેન ઠાકોર સભા સ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


જોકે, જન આશીર્વાદ સભામાં ગેનીબેન ચોધાર આંસુએ રડી પડ્યા હતા. મતદારો પાસે મગ માગતા માગતા ગેનીબેનની  આંખોમાં આંસુ આવી ગયા. તો બીજી તરફ સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. જોકે, આ પહેલાં ઋત્વિક મકવાણા લોકોનો ઉત્સાહ જોઈને રડી પડ્યા હતા. ઋત્વિક મકવાણા ઉમેદવારી નોંધાવતી વખતે મોટી સંખ્યામાં સમર્થકો પહોંચ્યા હતા.. સમર્થકોનો ઉત્સાહ જોઈને ઋત્વિક મકવાણાની આંખમાં આંસુ આવી ગયા હતા. 


સોમવારે કોંગ્રેસના 4 લોકસભા ચૂંટણીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જામનગરથી જે.પી મારવિયાએ કોંગ્રેસ વતી ઉમેદવારી નોંધાવી છે. જે.પી. મારવિયાના ફોર્મ ભરતી વખતે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. જામનગરની સાથે સાથે બારડોલીથી કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યું.. હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે રેલી યોજીને સિદ્ધાર્થ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી.. 


હવે વાત કરીએ નવસારી કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈના અનોખા પ્રચારની. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સામે ચૂંટણી લડી રહેલા નૈષધ દેસાઈનો અનોખો પ્રચાર હાલ ચર્ચામાં છે. નૈષધ દેસાઈ મહાત્મા ગાંધીજીનો વેશ ધારણ કરીને પ્રચારમાં જોડાયા. પોતે મુંડન કરાવ્યું અને ગાંધીજીની જેમ ધોતી અને પહેરવેશ ધારણ કરીને પ્રચાર કર્યો. નૈષધ દેસાઈ 19 તારીખે દાંડીમાં ગાંધી વંદન કરીને ઉમેદવારી ફોર્મ ભરશે.. નૈષધ દેસાઈએ જણાવ્યું કે, આ લડાઈ ગોડસે અને ગાંધી વિચારધારા વચ્ચેની છે.. 


લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે એવામાં કોંગ્રેસના ઉમેદવારોની પ્રચારની આ નવી તરકીબ લોકોનું ધ્યાન જરૂર ખેંચી રહી છે.. હવે જોવું એ રહ્યું કે, ચૂંટણીમાં આનાથી કોંગ્રેસને કેટલો ફાયદો થશે.