અમદાવાદ: ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડના કામ કરતા ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસીએશનના કોન્ટ્રાક્ટરોને રાજ્યના વિવિધ શહેરો જેવા કે, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા, ભૂજ, નડિયાદ, વલસાડ, દાહોદમાં પોલીસ આવાસ નિગમ લિમિટેડના ચાલુ કામોમાં ટેન્ડરની શરતો બહારનું કામ કરવા દબાણ કરવામાં આવે છે, તેમજ અન્ય ડિપાર્ટમેન્ટના ચીફ એન્જીનીયરને સાઈટો ઉપર બોલાવી ચાલુ કામોમાં બીનજરૂરી વાંધાવચકા નીકાળી, ગેરવાજબી વાતો કરી કાયદાની ગૂંચમાં ફસાવી દેવાની વાતો કરી કનડગત કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તે સિવાય ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસીએશનના કોન્ટ્રાક્ટરોને તેમના ચાલુ કામોમાં જથ્થાવધારો અને ગત ચોમાસામાં ગુજરાત રાજ્યમાં થયેલા ભારે વરસાદના કારણે સમયમર્યાદાની વિકટ મુશ્કેલીનો ગંભીર પ્રશ્ન સતાવી રહ્યો છે.


આ બાબતે નિગમના કોન્ટ્રાકટરો દ્વારા અવાર નવાર નિગમના મેનેજીંગ ડીરેકટરને રૂબરૂ તથા લેખિતમાં રજૂઆત કરી જાણ કરેલી છે. પરંતુ તેમના તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ મળેલ નથી એટલે તમામ કોન્ટ્રાકટર મિત્રો દ્વારા ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસીએશનના પ્રમુખ સમક્ષ આ બાબત અંગે રજૂઆત કરવામાં આવી હતી.   


ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસીએશનના ૫૦થી વધુ કોન્ટ્રાક્ટરોએ કરેલી રજૂઆત સંદર્ભે ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસીએશનના પ્રમુખશ્રીએ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડના કામ કરતા કોન્ટ્રાક્ટરોને તેમની સાઈટો ઉપર નડતા પડતર પ્રશ્નો અને થતી મુશ્કેલીઓનું ઝડપી નિવારણ લાવવા અંગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, હોમસેક્રેટરી સહિત ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડીરેકટરને પત્ર લખી રજૂઆત કરી છે.


જો આ બાબતે નિગમ દ્વારા કોન્ટ્રાકટરોને યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો કોન્ટ્રાકટરો દ્વારા સખત પગલાં લેવાની ફરજ પડેશે જેમકે કોન્ટ્રાકટરો દ્વારા પ્રજાલક્ષી બધાજ કામો બંધ કરવા, નવા ટેન્ડરના ભરવા જેવા સખત પગલાં ભવિષ્યમાં લેવા પડે તેમ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube