અમદાવાદઃ અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની 141 રથયાત્રા નીકળશે જે નગરનું પરિભ્રમણ કરશે. ત્યારે આ રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહેતા અમદાવાદમાં જગન્નાથ મંદિર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે પ્રકારે તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની 141 રથયાત્રા નીકળશે જે રથયાત્રાનો રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહિંદ વિધી કરી રથ ખેંચી શુભારંભ કરાવશે. તો રથયાત્રામાં ભક્તો માટે પ્રસાદીની ખાસ વ્યવસ્થા કરાઈ છે. રથયાત્રામાં 25 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 300 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ વહેંચવામાં આવશે. આ ઉપરાંત 2 લાખ જેટલા ઉપરણાં પ્રસાદી સ્વરૂપે અપાશે.  


અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળશે. જેમાં મંગળા આરતી સમયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ ઉપસ્થિત રહેશે. તો સવારે ભગવાનને ખીચડીનો ભોગ ધરાવાશે. જેમાં 2500 કિલો ચોખા, 152 ડબ્બા ઘી, 600 કિલો દાળ અને 1400 કિલો ડ્રાયફ્રુટનો ઉપયોગ થશે.


ભગવાન જગન્નાથજી મામાના ઘરેથી અમાસના દિવસે નીજ મંદિર પરત ફરશે. જ્યાં નેત્રોત્સવ વિધી, વિશિષ્ટ પૂજન વિધી હાથ ધરાશે. આ પ્રસંગે રાજ્યપાલ ઓ.પી. કોહલી, અમદાવાદના મેયર બીજલ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત અનેક મહાનુભાવો હાજર રહેશે. એકમના દિવસે રથપૂજન થશે. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ઉપસ્થિત રહેશે.


જેમ જેમ રથયાત્રા નજીક આવી રહી છે. તેમ તેમ મંદિર પ્રશાસને પણ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. સાવચેતીના ભાગ રૂપે જ મંદિર પ્રશાસને દોઢ કરોડ રૂપિયાનો વીમો પણ લીધો છે. ત્યારે શાંતીપૂર્ણ વાતાવરણમાં રથયાત્રા નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે મંદિર પ્રશાસને તમામ તકેદારીના પગલા હાથ ધર્યા છે.