જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :આજે 27 ફેબ્રુઆરી... સમગ્ર ગુજરાત અને દેશ માટે પણ ગોઝારો દિવસ સાબિત થયેલ આજના જ દિવસે વર્ષ 2002 માં ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડની ઘટના ઘટી હતી. જેમાં 59 જેટલા કાર સેવકોને ટ્રેનના ડબ્બામાં જ જીવતા સળગાવી મુકવામાં આવ્યા હતા. આજરોજ આ ગોઝારી ઘટનાને 20 વર્ષ પૂર્ણ થયા છે. ઘટનામાં મોતને ભેટેલા 59 કારસેવકોને આજરોજ 20 મી પુણ્યતિથિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાઈક રેલી યોજી પ્રતિકાત્મક શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આજથી 20 વર્ષ પૂર્વે 27 ફેબ્રુઆરી 2002 ના રોજ આયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ મારફતે પરત ફરી રહેલા 59 કારસેવકોને ગોધરા એ કેબિન પાસે ટ્રેનના એસ 6 કોચને આગ લગાવી જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. જેમાં 59 જેટલા કારસેવકો મોતને ભેટ્યા હતા. જે બાદ સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. સાબરમતી ટ્રેન હત્યાકાંડની તપાસ કરવા માટે સરકાર દ્વારા ખાસ SIT ની રચના પણ કરવામાં આવી હતી. જેમાં સમયાંતરે ચુકાદા પણ આપવામાં આવ્યા છે અને આરોપીઓને સજા પણ ફટકારવામાં આવી છે. સમગ્ર કેસને લઈ 100 આરોપીઓમાંથી કેટલાય આરોપીઓ મોતને ભેટી ચુક્યા છે અને કેટલાક હજુ જેલમાં સજા કાપી રહ્યા છે. જ્યારે જૂજ આરોપીઓ હજી પણ ભળતા નામોને લઈ ફરાર છે. ત્યારે આજે સાબરમતી ટ્રેન હત્યાકાંડની ૨૦ મી વર્ષીને લઇને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગાંધી ચોક ખાતેથી કારસેવકોની આત્માને શાંતિ મળે તે માટે રેલી યોજાઈ હતી.


આ પણ વાંચો : ગોધરા હત્યાકાંડના 20 વર્ષ, આજે પણ ગોધરા સ્ટેશન પર ઉભો છે સળગતો ડબ્બો 


ગોધરા રેલવે યાર્ડમાં રાખેલા સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચ ખાતે પહોંચ્યા હતા, જ્યાં કોચ પાસે ફૂલ હાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી અને રામધૂન બોલાવી હતી. મૃતકોી આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી, ટ્રેન હત્યાકાંડની વરસીને લઇને ગોધરામાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. સાબરમતી ટ્રેનનો એસ-૬ કોચ ખાતે પણ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જે સ્ટેશન પાસે સચવાયેલો છે. 


વીએચપી દ્વારા દર વર્ષ વહેલી તકે અયોધ્યામાં રામમંદિર બનાવવામાં આવશે તો જ કારસેવકોને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે તેવો આશાવાદ રાખવામાં આવ્યો છે. આ ગોઝારી ઘટનાને 20 વર્ષ વીત્યા બાદ હવે રામ મંદિરના નિર્માણનું કાર્ય પણ શરૂ થઇ ચૂક્યું છે.